Mysamachar.in-
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કેટલી હદે નઘરોળ છે, તેનો વારંવાર રસ્તે જઈ રહેલા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે તે ગવાહી પૂરે છે, છેલ્લા એક સપ્તાહમાં જ બે એવી ઘટનાઓ બની જેના પરથી મહાનગરપાલિકા તંત્ર ધારે તો કાયદાનો ધોકો પછાડી શકે છે અને આ કાર્યવાહી યથાવત રાખી શકે છે જો કે મનપાના તંત્રને લોકો મોતને ભેટે કે પોતાના શરીરનું અંગ ગુમાવે તેનાથી કોઈ જ ફર્ક પડતો હોય તેમ લાગતું નથી કારણ કે જ્યાં વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવે તે સમજી શકાય પણ શાશકપક્ષના એક જાગ્રૃત કોર્પોરેટર જે તેમના વિસ્તારમાં આવા બનાવો અટકાવવા માટે આગળ આવતા હોય તેની પણ અધિકારીઓ અને ખાસ કરીને હાલના નાયબ કમિશ્નર અવગણના કરે તે બાબત વાજબી કેટલી કેહવાય…
વોર્ડ નંબર 9 ના જાગૃત કોર્પોરેટર નીલેશ કગથરાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને નાયબ કમિશ્નર એ.કે.વસ્તાણી તેમની ફરજમાં રીતસરની બેદરકારી દાખવી રહ્યા હોવાની ફરિયાદ કરી છે, ફરિયાદમાં કગથરાએ લખ્યું છે કે ગત તા.09/6/2022 ના રોજ જામનગર શહેરમાં આવેલ વોર્ડ નં.9 માં આવેલ ચૌહાણ ફળી વિસ્તારમાં રખડતા ઢોર એ એક વ્યક્તિ ઉપર જે હુમલો કરેલ છે. તે ખૂબજ દુઃખદ બાબત છે. આ અંગે અગાઉ પણ તા.10 ઓગષ્ટ2021 ને જામનગર શહેરમાં ચૌહાણ ફળી વિસ્તારમાં રખડતા ઢોર એ મહિલા ઉપર જે હુમલો કરેલ હતો. આ જ વિસ્તારમાં બીજો બનાવ બનેલ છે. તેમજ તા.08 સપ્ટેમ્બર 2021 ને જામનગર શહેરમાં બર્ધન ચોક, ડેરાળી વિસ્તારમાં રખડતા ઢોર ઘરમાં ઘુસી ઘોડીયામાં ઊંઘી રહેલા બાળકને ઘોડીયા સહિત હડફેટે લીધું હતું. બાદમાં આ ચાર માસના બાળકને બચાવી લેવામાં આવેલ, આ રખડતા ઢોર એ ઘરમાં જઇને હુમલો કરેલ છે. આવા બે થી ત્રણ વખત અમારા વોર્ડ નં.9 માં અવાર નવાર બનાવ બનેલ છે.
પરતું આ રખડતા ઢોર બાબતે કોઇપણ જાતનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. પરતું આ ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી આશ્વાસન આપી આવા રખડતા ઢોર બાબતે કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત તા.9/6/2022 ના જે બનાવ બનેલ ત્યારબાદ ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી સાથે ટેલીફોનીક પણ અમોએ ઉપરોક્ત બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે. છતાં હજુ સુધી કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ ન હોય. ડે.કમિશ્નર દ્વારા એવો જવાબ આપેલ કે, જે ઢોર વૃધ્ધને હડફેટ લીધા છે તે જામનગરનું નથી જેથી આ ઢોર આપણે ન પકડી શકી તેવા ઉડાવ જવાબો આપવામાં આવે છે. તેમજ આ અધિકારી કોઇપણ જાતની કાર્યવાહી કરતા નથી.
આમ જે જે જગ્યાએ બનાવ બનેલ છે તે તમામ વિસ્તાર ગીચ વિસ્તાર છે. આ વિસ્તારમાં દેરાસર, ઉપાશ્રય, હવેલી, મંદિર આવેલ હોય, ત્યારે સાધુ, સંતો, મારાજ, મહાસતીજી, વૃધ્ધ અને બાળકો આ રખડતા ઢોરનો શિકાર બને છે. અને ડે.કમિશ્નર એ.કે.વસ્તાણી રખડતા ઢોરને પકડવા બાબતે કોઇપણ જાતની કાર્યવાહી કરતા ન હોય, આ અધિકારી તેમજ જે જે જવાબદાર હોય તેના ઉપર તપાસ સમિતિ રચી અને તાત્કાલિક તપાસ કરાવી જોઇએ અને જે જે લોકો જવાબદાર હોય, તેની ઉપર શિક્ષાત્મક પગલા લેવા જોઇએ. આ અધિકારી એ.કે.વસ્તાણીની તાત્કાલિક અસરથી બદલી કરવા પણ આ પત્રમાં માંગ કરવામાં આવી છે.