Mysamachar.in:વલસાડ
આજના આધુનિક યુગમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાની વાતોમાં આવી જાય છે અને બાદમાં પસ્તાવાનો પાર રહેતો નથી, આવી જ એક ઘટના વલસાડ જીલ્લાના વાપીના છરવાડા ખાતે બની છે, જ્યાં યુવક પૈસાના વરસાદથી રૂપિયા ડબલ કરાવવાની લાલચમાં એક બાવાના ચંગુલમાં ફંસાયો હતો. યુવકના ઘરે વિધિ કર્યા બાદ તેને સલવાવ સ્થિત એક સ્મશાનમાં લઇ જઇ નારિયેળ ભૂલી ગયા છીએ કહેતા યુવક તે લેવા માટે ફરી ઘરે ગયો હતો. જ્યાંથી તે પરત ફરતા બાવો સ્થળ ઉપર ન દેખાતા તેની સાથે ઠગાઇ હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે યુવકે ફરાર બાવા સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.વાપીના છરવાડા રોડ ખાતે ગણેશ નગરના મમતા એપાર્ટમેન્ટમાં રહેતા અને લારીમાં શાકભાજીનો વેપાર કરતા પ્રતિક છોટુભાઇએ શનિવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પાંચેક દિવસ પહેલા છરવાડામાં રહેતા મિત્ર અશોક પટેલએ જણાવેલ કે, પારડીના ખુટેજમાં રહેતા ચંદુ ભગત (ભુવા)ના ગામના અનિશ પાસે માણસો છે જે પૈસાનો વરસાદ પાડવાનું કામ કરે છે.
પૈસાની લાલચમાં આવી અનિશ સાથે ફોન ઉપર વાત કરી પૈસાનો વરસાદ કરાવવાનો છે તેમ કહેતા તેણે જણાવેલ કે, ધરમપુરના આંબોસી ભવઠાણ ગામે રહેતો વિજય કાળુ મોરીયાને ત્યાં મળવા જવું પડશે. જેથી 9 ડિસેમ્બરે મિત્ર અશોક સાથે તેઓ ધરમપુર જઇ અનિસ તથા નરેશ અને વિજયને મળતા વિજયએ કહ્યું હતું કે, તમારી પાસે સાચા પૈસા કેટલા છે બતાવો તો કામ થાય. જેથી રૂ. 1 લાખ રોકડા તેને બતાવતા તમારૂ કામ કરી આપીશું અને ફોન કરીશું ત્યારે ધરમપુર આવજો તેવી વાત થઇ હતી.જે બાદ 11 ડિસેમ્બરે નરેશભાઇએ ધરમપુર ત્રણ રસ્તા ઉપર બોલાવતા રૂ.14000 લઇ અશોક સાથે કારમાં ધરમપુર ગયા હતા. જ્યાં વિજય અને નરેશ મળ્યા હતા અને જણાવેલ કે, પૈસાનો વરસાદ કરાવવા માટે અનાવલ ખાતે રહેતો હરીબાપુને લેવા માટે જવું પડશે. જે બાદ હરિબાપુ અને તેની સાથે એક ઇસમને લેવા અનાવલ ચારરસ્તા ખાતે જતા હરિબાપુએ મારા માણસને પૈસા આપો કહેતા તેને રૂ.11000 આપ્યા હતા. ત્યાંથી હરિબાપુને વાપીમાં પોતાના ઘરે લઇ આવતા બાપુએ બે વિધિ માટેના સાધનોની માંગણી કરી હતી. પૂજાની તૈયારી કરી તેણે તમામને રૂમની અંદર બોલાવી પુજામાં પૈસા મુકવા કહેતા વિજયએ ફરિયાદીના રૂ.1,51,000 ત્યાં મુક્યા હતા.
જે પૈસા પુજાના લોટા સાથે હરિબાપુએ સાથે લઇ ફરિયાદીને સ્મશાન ખાતે ચાલો તેવી વાત કરતા બંને ગાડીમાં બેસી સલવાવ ખાતે એક સ્મશાનમાં રાત્રે 9.30 વાગે ગયા હતા. જ્યાં હરિબાપુએ પ્રતિકને જણાવેલ કે, નારિયેળ લાવવાનું રહી ગયું છે હું સ્મશાને બેઠો છું તુ નારિયેળ લઇ આવ. જેથી પ્રતિક પરત ઘરે નારિયેળ લેવા માટે ગયો હતો. જ્યાંથી નારિયેળ લઇને પરત આવતા બાપુ સ્થળ ઉપરથી ગાયબ હતો.બાપુ ક્યાંક ભાગી ગયો છે અને મારા પૈસા મને આપી દો તેવી વાતો વિજય અને નરેશને કરતા વિજયએ જણાવેલ કે મારા થકી હરિબાપુ આવ્યો હતો જેથી હું તમારા બધા પૈસા આપી દઇશ. આ અંગે આરોપી હરિબાપુ, નરેશ મંગુ પાડવી અને વિજય કાળુ મોરીયા સામે વિશ્વાસઘાત અને ઠગાઇની ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી નરેશને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.