Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં રખડતાં પશુઓની અતિ ગંભીર અને જોખમી સ્થિતિમાં છેલ્લા થોડા દિવસોમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોજમદાર માણસો રાખીને રસ્તાઓ પરથી પશુઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં શહેરમાં રખડતાં પશુઓની સમસ્યામાં કોઈ મોટી રાહત થઈ નથી. આ રોજમદાર માણસોની સામે જ અનેક સ્થળે પશુઓના ધણ હોવા છતાં નિષ્ક્રિય રહીને બેઠા હોય છે. આજે પણ શહેરમાં મોટા ભાગના મુખ્ય માર્ગો ચોક વગેરેમાં અસંખ્ય પશુઓ જોવા મળે છે.
પશુઓને પકડીને ઢોરવાડામાં મોકલવાની કામગીરીમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા 50-60 પશુઓને પોલીસ સાથે રાખીને પકડ્યા પછી તેમને ઢોરવાડામાં મોકલી દેવામાં આવે છે. પણ ઢોરવાડામાં પશુઓને યોગ્ય સમયે ઘાસચારો નાખવો પીવાના પાણીની વ્યવસ્થા. કોઈ ઢોર બીમાર હોય તો તેની સારવાર વગેરે બાબતોમાં કોઈ વ્યવસ્થા નથી પરિણામે પશુમાલિકોની દાદાગીરીનો અને મહાનગરપાલિકા તંત્રની બેદરકારીનો ભોગ નિર્દોષ મુંગા પશુઓ બની રહ્યા છે.
એસડીએમના આદેશનું પાલન કરવામાં હજી પણ સખ્તાઈથી કામગીરી થતી નથી તે હકીકત છે. અર્થાત એસ ડી એમ (કોર્ટ) ના હુકમનો અનાદર થઈ રહ્યો છે. શહેરમાં હજુ પણ અનેક સ્થળે ખુલ્લે આમ ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે. આ તમામ મુદ્દે મહાનગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સંતોષકારક અને નિયમિત કડક કાર્યવાહી કરવા માંગણી છે. જો આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે અને પશુવાડામાં પશુઓની યોગ્ય જાળવણી માટે પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની અને સમગ્ર પ્રકરણમાં કાનૂની લડત આપવાની ફરજ પડશે. સાથે જ મહિલા અગ્રણી શેતલ શેઠ દ્વારા લખવામાં આવેલ પત્રમાં વધુમાં જાણવવામાં આવ્યું છે કે તેમનો એક માત્ર ધ્યેય રજડતા પશુને પકડવા સાથે પશુની સારસંભાળ અને સારી માવજત થાય તે જ છે.