Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં એક ખાસિયત જોવા મળે છે. ઠેર-ઠેર કચરામાં આગ લાગે છે ! ખાનગી એકમોની અંદર, એ એકમોના કચરા તથા ભંગારમાં પણ આગ લાગે છે. અને આ આગનાં છમકલાં બૂઝાવવા ફાયરશાખા દોડાદોડી કરે છે. અને શાખા જાણે કે કોઈ બહુ મોટું કામ કરી રહી છે, એવી પ્રસિદ્ધિ મેળવવા આકાશપાતાળ એક કરે, હરખાય અને એ રીતે કામગીરી દેખાડે !!
ખાનગી એકમોમાં આગનો બનાવ ન બને તે માટે ખાનગી એકમધારક શું કાળજી લ્યે છે ? તે માટે ફાયરશાખા ચેકીંગ કરે છે ? કાળજી લ્યે છે ? ખાનગી એકમોમાં માલિકોની બેદરકારીથી આગ લાગે છે કે કેમ ? ખાનગી એકમોમાં ફાયર સેફ્ટી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ ? જો વ્યવસ્થા નથી તો, આવા ખાનગી એકમો વિરૂદ્ધ કેસ નોંધવા, નોટિસ ફટકારવી, ખુલાસો પૂછવો, દંડ કરવો કે ખાનગી એકમો નિયમભંગ બદલ સીલ કરવા – એ પ્રકારની કોઈ જ તપાસ કે કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાની ફાયરશાખા દ્વારા ક્યારેય શા માટે કરવામાં આવતી નથી ?! આ મુદ્દે ખરેખર તો સંબંધિત સતાવાળાઓએ ફાયરશાખાને ખુદને જ ખુલાસો પૂછવો જોઈએ.
વાત આજની જ કરવામાં આવે તો જામનગરના પંચવટી નજીક આવેલ શક્તિ ધ સેન્ડવીચ શોપમાં આગ લાગી..આ અંગે ફાયર વિભાગને પૂછવામાં આવ્યું કે ક્યાં કારણોસર આગ લાગી હતી..? સ્ટ્રક્ચર ક્યાં પ્રકારનું હતું..? અંદર ફાયર એકસટીગ્યુસર હતા કે કેમ..? તે કોઈ બાબતનો જવાબ આપવાના બદલે ફાયર વિભાગના એક અધિકારીએ એવું કહ્યું કે “અમારા છોકરાવ તો ખાલી આગ ઠારીને આવી જાય છે…અમે બીજી કોઈ ચકાસણી તો કરતા નથી.” શું આ જવાબ યોગ્ય કહેવાય ખરા..? ખરેખર જ્યાં આગ લાગે ત્યાં યોગ્ય તપાસ પણ થવી જ જોઈએ.
ફાયરશાખાની કામગીરી માત્ર દોડવાની કે આગ બૂઝાવવાની જ છે.?! ખાનગી અને સરકારી એકમો તથા રહેણાંકો વગેરે સ્થળોએ ફાયર સલામતીનાં નિયમોનું પાલન થાય છે કે ઉલ્લંઘન ?! આ પ્રકારના પ્રશ્નોનાં જવાબો ફાયરશાખા ક્યારેય મેળવતી નથી ! કચરા કે ભંગારની પરચૂરણ આગ ઓલવવા કોર્પોરેશન કરદાતા નગરજનોનાં કરોડો રૂપિયા ફાયરશાખા પાછળ ખર્ચ કરે છે ?! આ વાજબી છે ?!
[[post_botto7]]
કોઈ પણ સ્થળે લાગેલી આગ જેતે સ્થળનાં જવાબદારની બેદરકારીને કારણે લાગી છે કે કેમ ? તેની તપાસ થવી જોઈએ. આવા કસૂરવારો વિરૂદ્ધ નિયમાનુસાર કાર્યવાહી થવી જોઈએ. તો જ લોકોમાં અને ધંધાર્થીઓમાં ફાયરસેફટી મુદ્દે જાગૃતિ આવી શકે. કચરા કે ભંગારની પરચૂરણ આગ ઓલવવી એ પરાક્રમ નથી, એમાં ફોટાઓ ખેંચાવવાના ન હોય. આ બાબત ફાયરશાખાએ સમજવી પડશે.