Mysamachar.in-વડોદરા
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છાલીયેર ગામમાં રોજબરોજના ઘરેલું ઝઘડાથી કંટાળીને પત્નીએ જ પતિની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખ્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે, છાલીયેર ગામમાં રહેતા રાજેન્દ્ર સોલંકીને રોજ તેમની પત્ની સાથે ઝઘડા થતાં હતા. બપોરના સમયે પતિએ ઘરે આવીને રોજની જેમ પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને પત્નીને કહ્યું હતું કે, આજે તો તને વેચી જ નાખીશ. પત્નીએ પતિને કહ્યું હતું કે, તું મારી સાથે રોજે-રોજ ઝગડો કરે છે તો આજે તને હું પતાવી દેવાની છું.
ઘરના બીજા માળે રહેતા રાજેન્દ્ર ઝઘડો કરીને બપોરે ઊંઘી ગયો હતો. રોજ થઈ રહેલા ઝઘડાથી કંટાળેલી પત્નીએ ઊંઘી રહેલા પતિને કુહાડીના ઘા માર્યાં હતા. જેથી નાની પુત્રીએ બુમાબુમ કરતા મકાનની નીચે રહેતા માતા અને નાનો ભાઇ ઉપરના માળે દોડી આવ્યા હતા. જ્યારે ઉપર આવીને જોયું તો પુત્રને લોહીથી લથપથ જોતાં નાનાભાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરીને બોલાવી હતી અને પોલીસને પણ જાણ કરી દીધી હતી. ડેસર પોલીસ સ્ટશનના PSI સહિત સ્ટાફને બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા રાજેન્દ્રને ડેસર સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડ્યો હતો પરંતુ, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આરોપી રમીલા સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.