Mysamachar.in-જામનગર:
આજના સમયમાં આડા સબંધોનો મોટાભાગના કિસ્સાઓમાં કરુણ અંજામ જ આવતો હોય છે, એવામાં જામનગર જીલ્લાના લાલપુરમાં સામે આવેલ પતિ..પત્ની ઔર વો ની કહાનીમાં પત્ની અને તેના પ્રેમી એ મળી ને પતિનું કાસળ કાઢી નાખ્યાના બનાવના ગણતરીની કલાકોમાં લાલપુર પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. વાત એવી છે કે લાલપુર તાલુકાના નાના ખડબા ગામે વસવાટ કરતા લખમણભાઈ વાણીયાની પત્ની અંજુબેનને તેની બાધલા ગામે રહેતી બેન મધુબેનના દિયર પ્રફુલ્લ રામજી સોરઠીયા સાથે આડા સબંધો હોય જે નહી રાખવા મૃતક લખમણ અવારનવાર તેની પત્નીને સમજાવતો હતો….
પણ બન્ને પ્રેમમાં એટલી હદે અંધ થઇ ગયા હોય હવે પત્ની અંજુબેન અને તેના પ્રેમી પ્રફુલ્લને લખમણ વાણીયા આડાસબંધો રાખવામાં નડતરરૂપ થઇ રહ્યો હોય જેથી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે ખડબા ગામની સીમમાં લખમણ જ્યારે વાડીએ હતો ત્યારે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લખમણને બન્ને એ ભેગા મળીને તીક્ષ્ણ હથિયારના ઘા માથાના ભાગે ઝીંકી દઈ અને હત્યા નિપજાવ્યાના મામલે પત્ની અને તેના પ્રેમીની લાલપુર પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-બનાવ અકસ્માતમાં ખપી જાય માટે પણ પત્નીએ ચાલાકી વાપરી…
પત્ની અને પ્રેમીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સમગ્ર હત્યાનો બનાવ પ્રકાશમાં ના આવે તે માટે પત્નીએ ઘરે જઈ અને પરિવારજનોને તેનો પતિ એટલે કે મૃતક લખમણ બાઇકમાંથી પડી ગયો છે અને તેને લોહી નીકળી રહ્યું છે, તેમ કહી અને સમગ્ર હત્યાનો બનાવ અકસ્માતમાં ખપી જાય તેવા પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ ઘરના સભ્યોને શંકા જતા તેણે પોલીસને જાણ કરી અને પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણી નું પાણી થઇ ગયું.