Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની બેઠક મળી હતી, આ બેઠકમાં આગામી ગણેશ ઉત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા પાછળ અધ.ધ…કહી શકાય તેવો રૂપિયા 16 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે, આ બાબત ખુબ સારી છે, કારણ કે જો મૂર્તિઓ તળાવ, નદી કે દરિયામાં વિસર્જન કરવામાં આવે તો દરિયાઈ જીવશ્રુષ્ટિને નુકશાન પહોચે તે ના પહોચે તે માટે આ આવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.પણ આ અગાઉ બે વર્ષ પૂર્વે પણ મનપાએ આ જ રીતે 16 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને કૃત્રિમ તળાવ બનાવ્યું હતું અને આજે પણ ફરી 16 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
ત્યારે સ્વાભાવિક જ વિચાર એ પણ થાય કે શું મનપા દરવર્ષે ગણેશ વિસર્જન બાદ કૃત્રિમ તળાવ પાછળ આ પ્રકારે સોળ-સોળ લાખના ખર્ચ કરે તેના કરતા એક વખત મનપાની કોઈ જગ્યામાં આ રીતે કાયમી કૃત્રિમ તળાવ બનાવે તો દરવર્ષ થતો લાખોનો ખર્ચ બચી જશે અને મનપાના નાણા બચશે તેવો ગણગણાટ આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ થયો હોવાનું આંતરિક સુત્રો જણાવે છે. આજે થયેલ ગણગણાટ બાદ છેલ્લે આ ખર્ચ મંજુર થયો છે અને ખાનગી કોન્ટ્રાકટર આ કામ કરશે તે વાત નિશ્ચિત બની પણ હવે પછીના વર્ષે શાશકો અને અધિકારીઓએ આ વ્યવસ્થા કાયમી અને એકવખતના ખર્ચમાં જ પૂર્ણ થાય તે રીતે કરવાની દિશામાં વિચારવાની તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દેવી જોઈએ જે મનપાના આર્થિક હિતમાં પણ યોગ્ય ગણાશે.
-થનાર ખર્ચને યોગ્ય ગણાવી કઈ રીતે બને છે કૃત્રિમ તળાવ તેની માહિતી આપતા સીટી ઈજનેર
આ કૃત્રિમ તળાવ પાછળ થનાર ખર્ચ અને કઈ રીતે આ તળાવ બનશે તે અંગેની માહિતી આપતા સીટી ઈજનેર શૈલેશ જોશીએ આ ખર્ચને યોગ્ય યોગ્ય ગણાવી અને વધુ માહિતી આપતા કહ્યું કે 135 ફૂટ લંબાઈ,40 ફૂટ પહોળાઈ, 7 ફૂટ ઊંડાઈનો ખાડો કરી તળિયામાં મેટલ અને ઈંટનો લેયર તૈયાર કરી અને પ્લાસ્ટિકથી આખો હોજ તૈયાર કરી તેને ફરતે બેરિકેટગ કરવાની હોય છે, જયારે ગણેશ વિસર્જન દિવસ હોય ત્યારે ત્યાં હાઈડ્રો રાખી અને તેમાં પધરાવવાનું તેમજ બાદમાં મૂર્તિ શિફ્ટ કરવાનું અને મેનપાવર રાખવાનું કામ આ કામગીરી હેઠળ આવે છે.