Mysamachar.in-જામનગર
જામનગરના ખોડિયાર કોલોનીમાં એક યુવાનનો પીછો કરીને અમારા વિસ્તારમાં બદકામ કરવા કેમ આવે છે.? તેમ કહી છરીની અણીએ રૂપિયા 29 હજારની રકમ બળજબરીથી કઢાવીને નાસી છૂટયાની ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક શખ્સો લોકો પાસેથી લૂંટ ચલાવતા હોવાના બનાવો બહાર આવ્યા છે, એવામાં જામનગરની પટેલ કોલોની શેરી નંબર 9 અગમ રેસીડેન્સી ખાતે રહેતા અને મૂળ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે રીદ્ધિ સોસાયટીના વતની ધર્મેન્દ્ર છોટાભાઈ પટેલ નામના વ્યક્તિ ગત તારીખ 7 ના રોજ અંધાશ્રમ આવાસ ખાતે તેમના મિત્રને મળવા ગયા હતા. એ વખતે ત્રણ શખ્સોએ તેમનો પીછો કર્યો હતો.
ધર્મેન્દ્રભાઈનો પીછો કરીને ખોડીયાર કોલોની મેડિકલની બાજુની શેરીમાં ઓફિસ પાસે જઈને ત્રણેય આરોપીઓએ ફરિયાદીને કહેલ કે તું કેમ બદકામ કરવા અમારા વિસ્તારમાં આવેલ છો અને તારા ઘરે જાણ કરી દેશું તેવી ધાકધમકી આપી છરી બતાવીને ઇજા કરવાના ભયમાં મુકીને ફરિયાદી પાસેથી રૂપિયા 29 હજારની રકમ બળજબરીથી કઢાવી લઇ નાસી છૂટયા હતા. આ બનાવ અંગે ધર્મેન્દ્રભાઈ દ્વારા સીટી-સી ડિવિઝનમાં દિવ્યરાજસિંહ જાડેજા તથા 2 અજાણ્યા શખસ વિરુદ્ધ જુદી-જુદી કલમ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.