Mysamachar.in-ગુજરાત:
આપણામાંથી ઘણાં બધાં લોકો એવાં હોય છે જેઓને કોઈ અજાણ્યા તત્વો કે કંપનીઓ દ્વારા બિનજરૂરી કોલ-મેસેજ કરવામાં આવે છે અને એ રીતે ફોનધારકને કનડગતનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાનો ઉકેલ નજીકમાં જ છે. આ માટે ટ્રાઈ દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે, એવું ટ્રાઈના વડાએ જણાવ્યું છે. ટ્રાઈનાં વડા પી.ડી.વાઘેલાએ પત્રકારોને જણાવ્યું છે કે, આ પ્રકારના કોલ-મેસેજ સામે ગ્રાહકોનું રક્ષણ થાય. પરેશાનીઓ અંકુશમાં લઈ શકાય, તે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર સાથે વાતચીત ચાલી રહી છે. આ માટે એક દરખાસ્ત પણ તૈયાર થઈ રહી છે. ઘણાં કિસ્સાઓમાં એવું પણ જોવાં મળે છે કે, આ પ્રકારના કોલ-મેસેજ કરનારનો નંબર ગ્રાહકો દ્વારા બ્લોક કર્યા બાદ, ગ્રાહકોને એ જ વ્યક્તિ કે કંપની દ્વારા નવા નંબર પરથી કનડગત શરૂ થતી હોય છે, આ સમસ્યાનો ઉકેલ પણ શોધવામાં આવી રહ્યો છે.
કોલર આઇડી સિસ્ટમને વ્યાપક બનાવવામાં આવશે. KYC વધુ સક્ષમ બનાવવામાં આવશે. જો કે, આ ફેરફારો દરમિયાન, જેઓ પોતાનો નંબર ક્યાંય ડિસ્પ્લે થાય નહીં એવું ઈચ્છતા ગ્રાહકો માટે અલગથી એક વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે, આ પ્રકારની સમસ્યાઓ ઉભી કરનાર નંબરધારકોને શોધી કાઢવામાં આવશે તથા તેઓને એક વર્ષની જેલસજા કરી શકાય તે માટેની જોગવાઇ લાવવા દરખાસ્ત મૂકવામાં આવી રહી છે. તેઓએ કહ્યું હતું કે, આ પ્રકારના છેતરામણા કોલરને શોધી કાઢવા KYC કડક બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગનો ઉપયોગ કરવાની દિશામાં સર્વિસ પ્રોવાઈડરો સાથે મસલતો ચાલી રહી છે.