Mysamachar.in:જામનગર
જામનગરનાં ચકચારી ‘ ગુજસીટોક’ કેસમાં લાંબા સમય પછી કોઈ મહત્વનો વળાંક નોંધાયો છે. સુપ્રિમ કોર્ટે આ કેસમાં જામનગરનાં પાંચનાં જામીન ગ્રાન્ટ કર્યા હોવાનો રિપોર્ટ છે. જો કે, આ ઓર્ડર હજુ સાંજે રિલીઝ થશે એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. આ કેસમાં અન્ય આરોપીઓની જામીન મુકિતની શક્યતાઓ પણ હવે ઉજળી બની હોવાનું કાયદાકીય નિષ્ણાતો માની રહ્યા છે.જામનગરમાં ગુજસીટોક હેઠળ રાજ્યનો પ્રથમ કેસ આજથી દોઢ પોણા બે વર્ષ પહેલાં નોંધાયો અને હોલસેલમાં ધરપકડોનો દોર શરૂ થયો અને 16-10-2020 નાં દિવસે રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંહે પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી આરોપીઓને જાહેરમાં લાવ્યા હતા. તે સમયે એસપી તરીકે દીપન ભદ્રન પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જામનગર સહિત રાજ્યભરમાં સનસનાટી મચી જવા પામી હતી. અને, જામનગરમાં અગ્રણી બિલ્ડર અને વકીલ તેમજ એક પૂર્વ પોલીસકર્મી સહિતના આરોપીઓની ધરપકડ થઈ હતી. જો કે, આ ફરિયાદનાં મુખ્ય આરોપી જયેશ પટેલ સહિતનાં ત્રણ આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે સુપ્રિમ કોર્ટ દ્વારા જામનગરના જાણીતા બિલ્ડર નિલેશ ટોલીયા, યશપાલસિંહ તથા જશપાલસિંહ જાડેજા ઉપરાંત વકીલ માનસતા અને જિમ્મી આડતીયાની જામીન અરજી માન્ય રાખી જામીન ગ્રાન્ટ કર્યા હતા. જોકે આ માટેનો ઓર્ડર સાંજે રિલીઝ થશે એમ જાણવા મળ્યું છે. આ કેસના ખાસ પીપી એસ.કે.વોરા ( રાજકોટ) નો સંપર્ક કરી શકાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસ શરૂઆતથી જ રાજકોટની ખાસ અદાલતમાં ચાલી રહ્યો છે.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટમાં સૌ પ્રથમ જામીન અરજી બિલ્ડર નિલેશ ટોલીયા દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય ચાર આરોપીઓ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. બચાવપક્ષના એડવોકેટ ભગીરથસિંહ ડોડિયાએ માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,
પોલીસે 90 દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવાનું હતું તેમાં તેઓ નિષ્ફળ રહેતાં, બાદમાં સરકારી વકીલ અને પોલીસે ચાર્જશીટ રજૂ કરવાની સમયમર્યાદા વધુ 90 દિવસ લંબાવી આપવા હાઈકોર્ટને વિનંતી કરી હતી. આ મુદ્દાને બચાવપક્ષ દ્વારા પડકારવામાં આવ્યો હતો પરંતુ અદાલતે બચાવપક્ષની અરજી ફગાવી દેતાં બચાવપક્ષે ચાર્જશીટની મુદ્ત લંબાવવાની પોલીસની માંગણીને સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી. આ પડકાર એટલાં માટે કરવામાં આવ્યો કેમ કે, હાઈકોર્ટે આરોપીઓને સાંભળવાની તક આપી ન હતી. બચાવપક્ષના એડવોકેટ ડોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 1995 માં અભિનેતા સંજય દત્ત નાં કિસ્સામાં આ ગ્રાઉન્ડ પર જામીન આપવામાં આવેલાં એ જ ગ્રાઉન્ડ પર આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દલીલો થતાં સુપ્રિમ કોર્ટે હાલ તમામ પાંચ આરોપીઓને ડીફોલ્ટ જામીનમુક્તિ આપી છે.