Mysamachar.in-આણંદ
આમ તો જો કે પોલીસનું જે કામ નથી તે પોલીસને હાથ લાગ્યું છે… વાત કઈંક એવી છે કે આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખંભાતના ખારો પાટ કુમાર ફળીયામાં રહેતા એક વ્યક્તિના ઘરે બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં 3.25 કરોડ રૂપિયાની રોકડ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આમ તો આવી રમક શોધવાનું કાર્ય સામાન્ય રીતે આવકવેરા વિભાગનું હોય છે. જો કે એસઓજીની ટીમે આ રોકડ જપ્ત કરી છે. આણંદ એસઓજીએ વ્યક્તિને રકમ અંગે પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો નહોતો. જેના કારણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી ગ્રુપનાં અધિકારીઓ જવાનોએ પંચોની હાજરીમાં ખંભાતના કુમાર ફળીયામાં રાજેશ નગીનભાઇ પટેલના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રૂમમાં રહેલી તિજોરીમાંથી મોટા પ્રમાણમાં ચલણી નોટો બંડલો મળી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસઓજીની કાર્યવાહી દરમિયાન રાજેશ પટેલ ઘરે હાજર નહોતો. જો કે તે અંડરગ્રાઉન્ડ હોવાની વાત બહાર આવી હતી. આ અંગે રમક પરિવારજનોને પુછપરછ કરતા કોઇ આ રોકડ રકમ અંગેનો પુરતો હિસાબી પુરાવો કે દસ્તાવેજ દેખાડી શક્યા નહોતા. જેના કારણે તમામ રકમ એસઓજીએ જપ્ત કરી લીધી છે. 2000 ના દરની 50 બંડલ જ્યારે 500ના દરની ચલણી નોટોના 450 બંડલ મળી આવ્યા છે. જેની ગણતરી કરતા 3.25 કરોડની રોકડ રકમ મળી આવી છે. એસઓજીની ટીમે મળી આવેલ રૂા 3.25 કરોડની રોકડ રકમ કબ્જે લઇ આયકર વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.