Mysamachar.in-જામનગર:
વીજચોરી કરનાર તત્વો બેફામ બન્યા છે, યેનકેન પ્રકારે વીજચોરી કરી મોટી આર્થિક નુકશાની પીજીવીસીએલને કરવામાં આવી રહી છે, ત્યારે જયારે આવી વીજચોરીઓ ઝડપાય ત્યારે તેની અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવે છે તે ચોકાવનારી હોય છે, એવામાં જામનગર શહેરમાં વધુ વીજચોરીની એક નવી જ કહી શકાય તેવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જે સામે આવતા વીજ વિભાગના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા છે, આ એવી તકનીક અપવાનાવામાં આવી છે જે પ્રથમ વખત સામે આવી છે, જેમાં વીજ મીટરના પેટીના શીલ અને મીટરના ટીબી સીલને ટેમ્પરડ કરવામાં આવે છે અને બાદમાં મીટરને લઇ જઈ તેની પાછળના ભાગે ચોરસ કટ કરી અને મીટરની અંદરના ભાગમાં બે રજીસ્ટર બેસાડવામાં આવે છે, જેનાથી વીજ મીટર ખુબ ધીમી ગતિએ ચાલે છે અને બાદમાં કોઈને ખ્યાલ ના આવે તે રીતે પાછળનો જે ભાગ કટ કરેલો હોય છે તેને કેમિકલથી ચોટાડી આપવામાં આવે છે, અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ રીતે વીજચોરી કરવામાં આવે છે.
જામનગરમાં આવા તાજેતરમાં જ 15 થી 20 જેટલા કિસ્સાઓ સામે આવ્યા બાદ આવા કિસ્સાઓની વિશેષ તપાસ માટે વીજ મીટરનું લેબ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જામનગરના લેબ અધિકારીએ લેબ પરીક્ષણ દરમિયાન આવા પંદર થી વીસ જેટલા કિસ્સાઓ મીટરમાંથી શોધી કાઢ્યા છે જેની જામનગર GUVNL પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળે છે અને ઘણા ખરા કિસ્સામાં ગ્રાહ્ક પોતે સામે ચાલીને પીજીવીસીએલ અધિકારીઓને મીટરમાં સર્કીટ ફીટ કરનાર ના નામ પણ જાહેર કર્યાનું સામે આવ્યું છે. જાણવા એવું પણ મળે છે કે વીજ કંપનીના અધિકારીઓ જેને મીટર લગાવવાની જવાબદારી છે તેવો પોતે મીટર લગાવવા સમયે સ્થળ પર હાજર ના રહી અને અન્ય પાસે આ કામ કરાવે છે અને તેનો લાભ આવા વીજચોરો લે છે, અને લાંબા સમયગાળા સુધી આ રીતે વીજચોરી કરે છે અને જયારે ડિસ્પ્લે ઉડી જાય બાદમાં આવી કિસ્સાઓ સામે આવી છે,
વધુમાં આવા અન્ય કિસ્સાઓ જામનગર જીલ્લામાં છે કે કેમ તેના મુળિયા સુધી જવા અને તપાસ કરી અને દોષિતો સામે કાર્યવાહી થાય તે માટે જામનગર પીજીવીસીએલના નવનિયુક્ત અધિક્ષક ઈજનેર કે.આર.પરીખ દ્વારા આ મામલે વધુ કડક કાર્યવાહી થાય તે માટે જામનગર વર્તુળ કચેરી હેઠળના તમામ કાર્યપાલક ઈજનેર તમામ વિભાગીય કચેરી અને નાયબ ઇજનેર તમામ પેટાવિભાગીય કચેરીને આવા કિસ્સાઓમાં આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડીથી વીજ મીટર સાથે ચેડાં કરી, વીજ ચોરીના કિસ્સાઓમાં ગુન્હામાં માંડવાડના નાણાં ના સ્વીકારવા સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જામનગર વર્તુળ કચેરી ના જુદા-જુદા પેટાવિભાગીય કચેરી હેઠળ લેબ રોજકામ દરમ્યાન મીટરના એમએમબી/ટીબી સીલો ટેમ્પર્ડ કરી, મીટર બોડીના બેક કવરમાં ટેમ્પરિંગ કરી, મીટરની આંતરિક સર્કીટ સાથે બાહ્ય રેસીસ્ટન્સ જોડી, મીટર સાથેના ચેડાં કરેલના કિસ્સાઓ ધ્યાને આવેલ છે. આ પ્રકાર ની ગેરરીતી આચરવામાં કોઈ ચોક્ક્સ વ્યક્તિઓ ષડયંત્રમાં સંડોવાયેલ હોય એવું લાગે છે, જેથી આ પ્રકારના કેસમાં સંપૂર્ણ ઇન્વેસ્ટીગેશન થાય અને આ કામમાં સંડોવાયેલ તમામ આરોપીઓની સઘન તપાસ થાય અને ષડયંત્રનો પર્દાફાશ થાય તેમજ સંડાવાયેલ આરોપીઓ વિરુધ્ધ કાયદાકીય રીતે પગલાં લેવાય તે ખુબજ જરૂરી જણાય છે. તેથી આવી ગેરરીતી ના કિસ્સામાં જ્યાં સુધી પોલીસ તપાસ સંપૂર્ણ પણે પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુન્હા માંડવાડ (Compounding Offence)ના નાણા નહિ સ્વીકારવા સૂચના આપવામાં આવી છે.