Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં અને ખાસ કરીને પોલીસબેડામાં બહુચર્ચિત બનેલ પી.આઈ.પત્ની ગુમ થઇ જવાના કેસમાં તાજેતરમાં જ નવો વળાંક આવ્યો હતો અને પી.આઈ.પતિએ પોતે જ પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કર્યાની કબુલાત કર્યા બાદ પણ આ કેસમાં હજુ પણ દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થઇ રહ્યા છે, આ કેસમાં વધુ સાંપડતી માહિતી મુજબ FSL દ્વારા અજય દેસાઇના SDS ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેના શરીરના પરસેવાના આધારે ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટમાં જ્યારે અધિકારીએ સ્વીટીને છેલ્લે ક્યારે મળ્યો હતો? આ પ્રશ્ન પૂછ્યો અને અજય દેસાઈનો પરસેવો છૂટવા લાગ્યો હતો, જેના આધારે જ તે શંકાના દાયરામાં આવી ગયો હતો. ત્યાર બાદ પોલિગ્રાફ ટેસ્ટના સ્વીટી અને કરજનના ઘરના પ્રશ્નમાં શંકાના દાયરામાં આવી ગયો હતો.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ગુજરાત FSL વિશ્વકક્ષાની ફોરેન્સિક લેબ તરીકે જાણીતી છે. દરેક કેસમાં FSLના પુરાવા નિર્ણાયક બન્યા છે. તાજેતરમાં મુંબઈ ડ્રગ્સકાંડ હીરો-હિરોઇનના ફોન ગેઝેટ અને હિડન કેમેરા, FSLની મદદથી જ બહાર આવ્યું હતું. આ બધાની વચ્ચે હાલ ગુજરાતમાં ચકચારી બનેલો સ્વીટી મર્ડર કેસમાં પણ FSLની મહત્ત્વની ભૂમિકા રહી છે. હત્યા બાદ સ્વીટીના બ્લડ કલોટ શોધવાથી એને મેચ કરવા સુધીની દરેક કડી FSL દ્વારા શોધવામાં આવી છે.
બહુ ચર્ચિત એવા સ્વીટી પટેલના ગુમ થયાના કેસમાં પીઆઈએ હત્યા કરી છે એ સાબિત થયું ન હતું, જેથી તેની પાસેથી સીધા હત્યા સંદર્ભે પ્રશ્ન પૂછી શકાય એમ ન હતું. એ માટે FSL દ્વારા SDS ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં વ્યક્તિના શરીરમાં પરસેવાના આધારે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે હા અને નામાં જ જવાબ મળે એ રીતના પ્રશ્ન તૈયાર કર્યા હતા.
આ પ્રશ્નમાં જ્યારે FSLના અધિકારીએ અજય દેસાઇને પૂછ્યું કે સ્વીટીને છેલ્લે ક્યારે મળ્યો હતો? અને પીઆઈનો પરસેવો છૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આવા અનેક પ્રશ્ન જેમાં સ્વીટીના ગુમ થવાના અને છેલ્લે મળવાના પ્રશ્ન આવતા હતા ત્યારે અજય દેસાઈ શંકાના દાયરામાં આવતો ગયો હતો. આ SDS ટેસ્ટ બાદ અજય દેસાઇનો પોલિગ્રાફ ટેસ્ટ પણ શંકા ઊપજાવે તેવો હતો, ઉલ્લેખનીય છે, સ્વીટી પટેલ મિસિંગ કેસમાં એફએસએલની ટીમની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે. FSL દ્વારા SDS ટેસ્ટમાં અજય દેસાઈના અનેક ભેદ ખૂલ્યા હતા. ઈઝરાયેલની ખાસ SDS ટેકનોલોજી દ્વારા અજય દેસાઈનો ટેસ્ટ કરાયો હોવાનું પણ જાણવા મળે છે.