Mysamachar.in-ગુજરાત:
જામનગર સહિત રાજ્યભરમાં તથા દેશભરમાં ઘણાં લોકો એવી ચર્ચા કરતાં હોય છે કે, દરોડા કે ધરપકડ ટાણે પોલીસ સહિતની કોઈ પણ એજન્સી કોઈ પણ શકમંદ કે આરોપીનું લેપટોપ કે મોબાઇલ કબજામાં લઈ લ્યે, એવાં કિસ્સાઓમાં તે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ( મોબાઈલ, લેપટોપ વગેરે)માં જે-તે આરોપીની કેટલીક અંગત/વ્યક્તિગત બાબતો ( ફોટાઓ, નાણાંકીય વ્યવહારો કે જે દરોડા અથવા ધરપકડ સાથે સંબંધિત ન હોય) સ્ટોર થયેલી હોય શકે, આવાં કિસ્સામાં તે વ્યક્તિની અંગત બાબતોની પ્રાઈવસીનું શું ?! લોકોમાં ચર્ચાતો આ મુદ્દો સામાન્ય નથી. અસાધારણ અને અતિશય સંવેદનશીલ મુદ્દો છે. કોઈ સતાધીશ આ પ્રકારની સંવેદનશીલ સામગ્રીનો દુરૂપયોગ પણ કરી શકે. આ ઉપરાંત તેથી પણ મહત્વની બાબત એ છે કે, જે-તે કેસ સાથે સંબંધિત ન હોય તેવી વિગતો, ફોટા, માહિતીઓની ગુપ્તતા જાળવવા માટે કોઈ કાયદો હોવો જરૂરી છે. અને, આ લોકલાગણીનો પડઘો સુપ્રિમ કોર્ટમાં પડ્યો છે.
સુપ્રિમ કોર્ટે સરકારને પૂછ્યું છે, આ માટે કોઈ કાયદો બનાવી શકાય કે કેમ ? સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, આ પ્રકારના ડિવાઈસની કોઈ વિગતો ખૂલ્લી પડી જાય કે શેયર થઈ જાય તે વાજબી ન લેખી શકાય અને તેથી આ સંદર્ભે નવાં કાયદાની આવશ્યકતા અંગે વિચારવું પડે. સુપ્રિમ કોર્ટ સુધી એવી વાતો પહોંચી છે કે, અદાલતનાં કોઈ પણ વોરંટ વિના પોલીસ આ મુદ્દે લોકોને પરેશાન કરે છે ! અને તે વ્યક્તિને મોબાઈલ કે લેપટોપમાં રહેલી વિગતો શેયર કરવા ફરજ પાડે છે ! પત્રકારોના સંગઠન ‘ ફાઉન્ડેશન ઓફ મીડિયા પર્સોનલ ‘ દ્વારા આ અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
જસ્ટિસ સંજય કૌલ તથા જસ્ટિસ અભય ઓકા સમક્ષ રજૂ થયેલી આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, દેશવાસીઓનાં પ્રાઈવસીના અધિકારનો આવાં કિસ્સામાં ભંગ થાય છે, જે અટકાવવા સુપ્રિમ કોર્ટ યોગ્ય નિર્ણય લે. આ પ્રકારનો કોઈ કાયદો હાલમાં ન હોવાને કારણે પત્રકારો પર જોખમ વધી જાય છે, કેમ કે – પત્રકારોના આ પ્રકારના ગેજેટ્સમાં ઘણી બધી સંવેદનશીલ અને અતિ મહત્વની માહિતી સંગ્રહિત હોય છે.
સુપ્રિમ કોર્ટ આ અરજી સાંભળવા તૈયાર થઈ અને સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલાવી આઠ સપ્તાહમાં અદાલતમાં પ્રતિભાવ દાખલ કરવા જણાવ્યું છે. એમ માનવામાં આવે છે કે, આ મુદ્દો સંવેદનશીલ પૂરવાર થઈ શકે છે. કેમ કે, નજીકનાં ભૂતકાળમાં નાગરિકોની પ્રાઈવસી મુદ્દે સરકાર અને અદાલત વચ્ચે ઘણી કવાયતો થઈ છે. સુપ્રિમ કોર્ટે હંમેશા પ્રાઈવસીના રક્ષણ સંદર્ભે સ્પષ્ટ અને હિંમતપૂર્વકનું વલણ અખત્યાર કર્યું છે.