Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં RTE હેઠળ ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. સંખ્યાબંધ જગ્યાઓ હજુ ખાલી છે કેમ કે ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષે બેઠકો વધી છે અને પ્રવેશ માટેની અરજીઓની સંખ્યા ઓછી છે. આજથી પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂકયો છે. જામનગર શહેર અને જિલ્લામાં સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. જામનગર શહેરની આ બધી કામગીરી અને કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સંભાળે છે. આ કચેરીનાં વર્તુળો જણાવે છે કે, આ વર્ષે કચેરીને 1,746 અરજીઓ મળી છે. જે પૈકી 1,505 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર અરજીઓ પૈકી 650 છાત્રોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને તે પૈકી 547 બેઠક પર બાળકોને એડમિટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કચેરીએ જણાવ્યું છે કે, કોઈ વાલીને શાળા ન ગમતી હોય વગેરે કારણોસર 103 પ્રવેશ રદ્ કરવામાં આવ્યા છે. આજે 23મે થી શાળાઓની પુનઃપસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષે 100 જેટલી બેઠકો વધી છે. અને, ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે વાલીઓની ફરીથી બાંહેધરી લેવાની વગેરે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર શહેરનાં નગરસીમ વિસ્તારોમાં આવેલી જે શાળાઓનું સંચાલન જિલ્લા પંચાયત હસ્તક છે તે સહિતની સમગ્ર જિલ્લાની 219 શાળાઓમાં પણ RTE પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી જણાવે છે કે, કુલ 219 શાળાઓમાં અમોને 25 ટકા લેખે કુલ 809 બેઠકો પ્રવેશ માટે ફાળવવામાં આવી છે. આ બેઠકો માટે મળેલી અરજીઓ પૈકી 134 અરજીઓ વિવિધ કારણોસર રદ્ કરવામાં આવી છે. 583 અરજીઓને મંજૂરી આપી દેવામાં આવી છે. હાલ 92 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે. જે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનાં આધારે પેન્ડિંગ રાખવામાં આવી છે. ઘણાં વિદ્યાર્થીઓ એવાં છે જેઓએ ગત્ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી લીધો હતો. આમ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1,130 બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. અને આજથી પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.