Mysamachar.in:જામનગર
સમગ્ર રાજયની સાથે જામનગર પણ ખનીજચોરીનાં મુદ્દે વર્ષોથી નહીં, દાયકાઓથી કુખ્યાત છે. બીજી તરફ, તંત્ર ખુદનાં હાથે ખુદની પીઠ થાબડી રહ્યું છે અને પોતે જિલ્લાનાં વિકાસમાં કેવડો સિંહફાળો આપી રહ્યું છે, તે અંગેનાં આંકડાઓ અખબારી યાદી મારફતે જાહેર કરી રહ્યું છે. જામનગર ખાણખનિજ વિભાગ કહે છે : વર્ષ 2022/23 દરમિયાન તંત્ર દ્વારા કુલ રૂ.33 કરોડ 30 લાખની રોયલ્ટી વસૂલ કરવામાં આવી છે. આ રકમ પૈકી 95 ટકા રકમ જિલ્લા પંચાયતને આપવામાં આવે છે, જે રકમ જિલ્લાનાં વિકાસમાં ખર્ચ કરવામાં આવે છે.
આ ઉપરાંત તંત્ર કહે છે : વર્ષ 2022/23 દરમિયાન તંત્ર દ્વારા ગેરકાયદે ખનન રોકવા સંબંધે કુલ 261 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કસૂરવારો પાસેથી રૂ.405.76 લાખની પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે. વર્ષના 365 દિવસમાં તંત્ર દ્વારા કુલ 261 કેસ (શરાબ અને જુગારના કેસોની પદ્ધતિએ!) ગેરકાયદે ખનન રોકવા નોંધવામાં આવ્યા છે જે દર્શાવે છે કે, ગેરકાયદે ખનન વર્ષ દરમિયાન સતત ચાલતું રહે છે અને બધાં જ કિસ્સાઓમાં કેસ નોંધવામાં આવી રહ્યા છે, એમ કેમ સમજી લેવું ?! એવો પ્રશ્ન જાણકારો પૂછી રહ્યા છે.
તંત્રએ એમ પણ જાહેર કર્યું છે કે, ખાણખનિજ વિભાગનાં વડા સુભાષ જોષીનાં વડપણ હેઠળ આ વિભાગે વર્ષ 2022/23 દરમિયાન લક્ષ્યાંક સામે 102 ટકા કામગીરી નોંધાવી છે. ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એમ તંત્ર ખોંખારો ખાઈને કહી રહ્યું છે પરંતુ નોંધપાત્ર મુદ્દો એ છે કે, વર્ષ દરમિયાન જિલ્લાનાં કયા તાલુકામાં શું કામગીરી કરવામાં આવી ? કેટલી રોયલ્ટી અને પેનલ્ટી આવક તાલુકાવાઈઝ મેળવવામાં આવી ? કેવા પ્રકારના ખનીજની કેવા પ્રકારની ચોરી ઝડપી..? તે આંકડાઓ વિસ્તૃત રીતે જાહેર કરવામાં તંત્રને કશીક તકલીફ પડી રહી છે ! શાથી ?! તંત્રએ પારદર્શિતા જાળવવા સમગ્ર વિભાગની વર્ષ દરમિયાનની તમામ કામગીરીઓ અને કાર્યવાહીઓ કશું જ છૂપાવ્યા વિના જાહેર કરવી જોઈએ. કોઈ પણ સરકારી વિભાગે પોતાનો એકસરે લોકો સમક્ષ મૂકવામાં સંકોચ કે શરમ શા માટે અનુભવવા જોઈએ ?! એ પ્રશ્ન પણ મહત્વનો લેખાવી શકાય.