Mysamachar.in-ગુજરાત
ગુજરાતનું પ્રખ્યાત ‘ગીર નેશનલ પાર્ક’ એ રાજ્યના 8 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને જામનગર જિલ્લામાં ફેલાયેલો છે. ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ દરને લઈને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં આજે આ મુદ્દો મૂક્યો હતો. સિંહના મોત થવા પાછળનું કારણ જણાવી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં સૌને હતપ્રભ કરી દીધા હતા. શક્તિસિંહે ગીરના સિંહોને રેડિયો કોલરથી મુક્ત કરવાની માંગણી મૂકી છે. સિંહોના મોત થવા પાછળ રેડિયો કોલરને જવાબદાર ઠેરવ્યું હતું. જંગલમાંના 25% સિંહના મોત રેડિયો કોલરના ઉપયોગના કારણે થતું હોવાનું શક્તિસિંહે જણાવ્યું છે.
કોંગ્રેસના રાજ્યસભાનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં એશિયાઈ સિંહોના મોતનો મુદ્દામાં માંગ મૂકી છે કે, સિંહોને રેડિયો કોલર ન લગાવવું જોઈએ. એનું વજન 2.5 કિલો હોય છે. તેનાથી સિંહોનો વિકાસ અટકી જાય છે. બાળસિંહને પણ આ અઢી કિલોનો રેડિયો કોલર પહેરાવાય છે. અનેકવાર આને લીધે અસમયે સિંહોના મોત પણ થઈ જાય છે. તેને બદલે હાનિકારક ન હોય એવી અન્ય કોઈ વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરવો જોઈએ. શક્તિસિંહ ગોહિલે આંકડાકીય માહિતી સાથે જણાવ્યું હતુ કે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સમિતિના અહેવાલ અનુસાર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ગુજરાતમાં 92 એશિયાઈ સિંહોના મોત થયા છે. ઉપરાંત તેમણે 10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટનો ઉલ્લેખ કરીને 2015 થી 2020 દરમિયાન એશિયાઈ સિંહોની વસ્તીમાં 29 ટકાનો ઐતિહાસિક વધારો થયો હોવાનું જણાવ્યું હતું.