Mysamachar.in-અમદાવાદ:
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા બાદ રાજ્યમાં ફરી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થવાના એંધાણ છે. સતત બદલતા વાતાવરણ વચ્ચે મેઘરાજા આગામી દિવસોમાં મનમૂકીને વરસી શકે છે. ભારે પવન સાથે મેઘકૃપા થયા બાદ સૌરાષ્ટ્ર પંથકમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ થાય એટલો વરસાદ થવાની પૂરી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના શહેરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, જામનગર, કેશોદ, માણાવદર તેમજ જાફરાબાદમાં ભારે પવન સાથે સુપડાધાર વરસાદ થયા બાદ મેઘરાજાએ એક દિવસનો અલ્પવિરામ લીધો હતો. છૂટાછવાયા ઝાપટા પડ્યા બાદ ફરી ચોમાસું સિસ્ટમ સક્રિય થઈ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. સોમવારે હવામાંન ખાતાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, તલાલા, ભાવનગરમાં ધોધમાર વરસાદ થશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં વાપી, વલસાડ, દાદરાનગર હવેલી, સુરત, ભરૂચ, તેમજ ડાંગમાં ભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે.
સોમવારે દમણ, વલસાડ, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, વડોદરા તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, કચ્છ તેમજ દીવ પંથકમાં સારો વરસાદ થશે. મંગળવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થશે. જ્યારે દમણ, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, વડોદરા, આણંદ, સૌરાષ્ટ્રમાં અમરેલી, કચ્છ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, તલાલા તથા દીવમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે બુધવારે વલસાડ, નવસારી, સુરત, દમણ, પંચમહાલ, ખેડા-આણંદ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર પંથક, પોરબંદર, જૂનાગઢ તથા કચ્છમાં ઝાપટા પડશે. જ્યારે આ સમયે ઉત્તર ગુજરાતમાં હવામાન સુકુ રહેશે. ગુરૂવારે દક્ષિણ ગુજરાત પંથક, દાહોદમાં વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં ભારેથી મધ્યમ કક્ષાનો વરસાદ થશે.
જોકે, રવિવારથી રાજ્યના હવામાનમાં એક પ્રકારનો મોટો ફેરફાર જોવા મળ્યો હતો. અનેક શહેરમાં વરસાદી વાદળ દેખાયા હતા. જ્યારે બપોરના સમયે પણ સાંજ પડી હોય એવો માહલો જોવા મળ્યો હતો. એવામાં રવિવારે રાજકોટ, જામનગર, જૂનાગઝ, કેશોદ તેમજ કચ્છ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થયો હતો.