Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ મોદી સ્કુલ દ્વારા પરવાનગી વગર શાળા શરુ કરી દેવાના મામલે દિવસે ને દિવસે નવા ફણગાઓ ફૂટી રહ્યા છે, અને તંત્રની અત્યારસુધી રહેલી મીઠી નજર પણ હવે ઉજાગર થઇ રહી છે, શાળાને સ્થાનિકકક્ષાએ થી મંજુરી ના મળી હોય શાળા દ્વારા ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ખાતે અપીલમાં ગયા છે, અને ત્યાથી પણ મંજુરી “ના” મળ્યાનું જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયાએ કેમેરા સમક્ષ જણાવી દીધા બાદ શાળાને પરસેવો છૂટી જતા તાબડતોબ શાળાએ “મોદી સ્કુલ” લખેલા પાટિયા ઉતારી લીધા છે, અને ઉપરથી આદેશો થતા સ્થાનિક કચેરીએ તપાસના ચક્રો ફરજીયાત ગતિમાન કરવા પડ્યા છે,
એવામાં ગઈકાલે આ બાબતે થયેલી અરજીને અનુસંધાને રહી-રહીને પણ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ નિરીક્ષક સહિતની ટીમ શાળા ખાતે પહોચી હતી અને તપાસ કરી અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તેની ફોટોગ્રાફી પણ કરી હતી, જે પ્રાથમિક તપાસ બાદ આ અંગે જીલ્લાશિક્ષણાધિકારી ડોડીયાએ જણાવ્યું છે કે શાળા પાસે માન્યતા ના હોય તેને શાળા બંધ કરી દેવા માટે મૌખિક સુચના આપી દેવામાં આવી છે, અને લેખિત સુચના પણ ઝડપથી આપી દેવામાં આવશે, અને હાલ આ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે બાળકો માન્ય શાળામાં અભ્યાસ કરે તે માટે જણાવવામાં આવશે તેમ પણ શિક્ષણાધિકારી ડોડીયાએ ઉમેર્યું છે.