Mysamachar.in:જામનગર
કોઈ પણ સરકારી વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓ વિભાગનાં હાથપગ છે. આંખકાન છે. જો તેઓની સંખ્યા પૂરતાં પ્રમાણમાં ન હોય, અથવા ઓછાં કુશળ લોકોથી ગાડું ગબડાવવામાં આવે તો તંત્ર ખોડંગાય જતું હોય છે અને તંત્રનાં લાભાર્થીઓ, અરજદારો હાલાકીઓ વેઠવા મજબૂર બનતાં હોય છે. જામનગર જિલ્લા પંચાયતમાં વર્ષોથી સ્થિતિ આ છે !જામનગર જિલ્લા પંચાયતમાં વર્ષોથી અધિકારીઓ અને કર્મચારીઓની સેંકડો જગ્યાઓ ખાલી છે ! આ જગ્યાઓ પર ભરતીઓ કરવાની પ્રક્રિયામાં સરકારને દિલચસ્પી નથી અને પદાધિકારીઓ તો જાણે, આ સમસ્યાને સમસ્યા લેખતા જ નથી ! તંત્રમાં સેંકડો જગ્યાઓ ખાલી હોવાનો મુદ્દો પદાધિકારીઓને અકળાવતો નથી ! સરકારી કાર્યક્રમોમાં ખુરશીઓ પર, ખાલી ખાલી બિરાજવાના અભરખા રાખતાં પદાધિકારીઓ જિલ્લા પંચાયતના પાયાનાં પ્રશ્નોની ન તો જાણકારી ધરાવે છે અને ન તો આવાં પ્રશ્નો અંગે કોઈ નિસ્બત ધરાવે છે !
થોડાં થોડાં સમયે ગાંધીનગર આંટો લગાવવા જતાં, અને પાટનગરમાં યોજાતાં સરકારી કાર્યક્રમોનાં ફોટાઓ વાયરલ કરતાં પદાધિકારીઓ કર્મચારીઓની ખાલી જગ્યાઓ અને તેને કારણે અરજદારોને વેઠવી પડતી હાલાકીઓ પ્રત્યે ગંભીરતા ધરાવતાં નથી ! જિલ્લા પંચાયતમાં વર્ષોથી ઘણાં બધાં અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. જેમાં સિંચાઈ, આરોગ્ય, બાંધકામ, મહેસૂલ, શિક્ષણ સહિતનાં વિવિધ મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે.અધિકારીઓ અને કર્મચારીઓની ખાલી જગ્યાઓને કારણે જિલ્લાભરના લાખો અરજદારનાં કામો ટલ્લે ચડે છે.અરજદારોએ નિયત સમયમર્યાદામાં કામોનો નિકાલ ન થતાં જિલ્લાના દૂરદૂરના વિસ્તારોમાંથી જામનગર જિલ્લા પંચાયતનાં ધક્કા ખાવા પડે છે ! જગ્યાઓ ખાલી રહેવાને કારણે વિવિધ કામો પર યોગ્ય સુપરવિઝન થતું નથી. લાખો અરજદારોને સરકારી યોજનાઓ સહિતની બાબતોમાં પર્યાપ્ત માર્ગદર્શન મળતું નથી.
ખાલી જગ્યાઓને કારણે તંત્રમાં વાઈબ્રન્સીનો અભાવ જોવા મળે છે ! સમગ્ર જિલ્લા પંચાયત રગશિયા ગાડાં માફક ઘસડાઈ રહી છે. એમાંયે મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બેઠકોમાં વ્યસ્ત હોય છે. અથવા, ગાંધીનગરથી આવતાં કાગળો અને પ્રશ્નોનાં જવાબો તૈયાર કરવામાં જ અધિકારીઓ અને કર્મચારીઓનો સમય વ્યતીત થતો રહે છે ! જેને કારણે અરજદારો આ કચેરીમાં બિચારાં બાપડા બની, અહીં તહીં ધક્કા ખાવા મજબૂર બને છે !
જાણકારોના કહેવા પ્રમાણે, ખરેખર તો પદાધિકારીઓએ ગાંધીનગર કક્ષાએ આ અંગે આગ્રહપૂર્વકની અને ભારપૂર્વકની રજૂઆત કરવી જોઈએ અને સમગ્ર જિલ્લા પંચાયત ધમધમતી જોવા મળે, અરજદારોના કામો ફટાફટ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કારણ કે, મતદાન વખતે પ્રત્યેક મતદારને ઘણી અપેક્ષાઓ હોય છે. ખાલી જગ્યાઓને કારણે રાજય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ, વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં પણ અનેક અવરોધો સર્જાતા રહે છે. પદાધિકારીઓએ આ સ્થિતિ નિવારવા કશુંક પરિણામલક્ષી કામ કરી દેખાડવું જોઈએ, એવી વ્યાપક ચર્ચા સાંભળવા મળી રહી છે.તંત્રમાં ખાલી જગ્યાઓ અંગે વહીવટી વડાએ પણ જનપ્રતિનિધિઓ સાથે શ્રેષ્ઠ સંકલન સાધી યથાયોગ્ય પ્રયાસો કરવા જોઈએ, એવો પણ જનસાધારણનો મત છે.