Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ આજથી નહિ પણ વર્ષોથી વગોવાયેલ વિભાગ છે, આ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ પ્રકારની જાડી ચામડી ધરાવે છે, તેને ઉચ્ચ અધિકારી એટલે કે કમિશ્નર કહે કે પછી પદાધિકારીઓ મેયર કે ચેરમેન કહે હા…જી..હા કરી અને કરવા જોઈતા જેમાં તેને બહુ લાગતું વળગતું ના હોય તેટલું જ કરે છે, એટલે કે જરાતરા કરી દેખાડો કરવા અને ફોટા પડાવી પ્રસિદ્ધિની ભૂખ આ વિભાગને વધુ પડતી છે તે સૌ જાણે છે. આ શાખામાં બે-ચાર લેભાગુઓ ઓફીસ ખુલ્યેથી સાંજ સુધી પડ્યા પાર્થયા રહે છે..તેવી ચર્ચાઓ પણ મનપામાં ચાલી રહી છે.
એવામાં ખુદ સ્ટે.ચેરમેન મનીષ કટારીયાએ તેમની પાસે આવતી ફરિયાદો, સ્ટે.કમિટી દરમિયાન સભ્યો દ્વારા ઉઠતા મુદ્દાઓ વગેરેને ધ્યાને લઈને કેટલીક કામગીરી તત્કાલ અને અસરકારક રીતે કરવા સુચના આપી છે જોઈએ હવે શું થાય છે, સ્ટે.ચેરમેને મીગ કોલોની પાસે રોડ ઉપર ગુજરી બજારને બદલે બહાર રોડ સુધી ગુજરી બજાર ભરાતી હોય આ સ્થળે વખતો-વખત સ્થળ તપાસ કરી ફરિયાદનો નિકાલ કરવા માટે સુચના આપી તો શહેરીજનો જેનાથી ત્રસ્ત થઇ ગયા છે તેવા શહેરના વિવિધ રોડ ઉપર જે નોન-હોકિંગ ઝોન તરીકે જાહેર થયેલ છે તે જગ્યાએ રેકડીવાળાઓ તેમજ પથારાવાળાઓ દ્વારા એસ્ટેટ વિભાગની મીઠી નજર હેઠળ દબાણોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે તેને પણ તાકીદે દુર કરવા સુચના આપ્યાનું આધારભૂત સુત્રો જણાવે છે.
તો બેડીગેટ સુપરમાર્કેટ વાળી ફૂટપાથ ઉપર ગેરકાયદેસર રીતે ઓટલા કરી ફૂટપાથ ઉંચી લઈ લેવામાં આવે છે. જેથી રાહદારીઓ અહી ચાલી પણ શકતા નથી તેમજ આસપાસની ફૂટપાથો ગેરકાયદે માલ સમાન થી ભરી દેવામાં આવી છે તો આવી જ સ્થિતિ સુભાષ બ્રીજ થી ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ વાળા રોડ ઉપર જે બ્યુટીફીકેશન કરવામાં આવેલ તે તોડી અને ત્યાં ગેરકાયદેસર રેતીનું વેચાણ કરવામાં આવી રહ્યાનો મામલો પણ સ્ટેન્ડિંગ કમિટીને ધ્યાને આવ્યો છે, તો અહી નજીક જ સુભાષ બ્રીજથી હનુમાન મંદીર સુધી સ્ટાર લાઈટ પાર્ટી પ્લોટ સુધીના રોડ ઉપર ગેરકાયદેસર માંચડાઓ બાંધી રેકડીવાળાઓ અને ચીજવસ્તુનું વેચાણ કરનારાઓ દબાણ કરી લીધેલ છે.
અને વર્ષો જૂની સમસ્યા જે સજુબા ગર્લ્સ હાઈસ્કુલથી શાકમાર્કેટ થઈ દરબારગઢ સુધી સવારના શાકભાજીવાળાઓના દબાણને કારણે ટુ વ્હીલર પણ નિકળી શકતું નથી. આવા ગેરકાયદેસર રેકડીવાળાઓ હટાવી રસ્તા ખુલ્લા કરવા પણ સ્ટે.ચેરમેને સૂચનાઓ આપી છે. હવે આ તમામ મુદ્દાઓ જો સ્ટે.કમિટી સુધી પહોચતા હોય તો એવું તો નથી કે એસ્ટેટ વિભાગના બહાદુરોને ખબર નહિ હોય…પણ ખબર બધી છે પણ કરવું હોય એટલુ જ કરવાની અને બાકીનાને સાચવી લેવાની નીતિ એસ્ટેટ વિભાગની કાયમી રહી છે, જે શહેરને દબાણની દિશામાં ધકેલી રહી છે.