Mysamachar.in-જામનગર:
જામનગર તથા ખંભાળિયા જિલ્લાઓનાં મુખ્યમથકો હોવાં ઉપરાંત એવાં શહેરો છે જ્યાંથી દરિયાકાંઠો બહુ દૂર નથી. આ શહેરો ભેજવાળું વાતાવરણ પણ ધરાવે છે. આ ઉપરાંત જિલ્લામથકો હોવાથી કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત આ બંને શહેરોમાં વીજતંત્ર ભૂગર્ભ વીજકેબલ પાથરશે. આ માટે આયોજન કરી લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના અંતર્ગત આ કામગીરી કરવામાં આવશે, એમ જામનગર વીજતંત્રના વડા-અધિક્ષક ઈજનેર કે આર પરીખે Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
કેન્દ્રની આ યોજના હેઠળ જામનગર શહેરમાં 396 કિમી લંબાઈના ભૂગર્ભ વીજકેબલ બિછાવવા માટે રૂ. 67.47 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં રૂ. 08.52 કરોડનાં ખર્ચે અંદાજે 50 કિમી લંબાઈના ભૂગર્ભ વીજકેબલ બિછાવવામાં આવશે.આપણે સૌ જાણીએ છીએ કે, હાલનાં ઓવરહેડ વીજકેબલને કારણે, વાતાવરણની અસરોને પરિણામે વીજ ફોલ્ટ વારંવાર સર્જાતા રહે છે. જેને કારણે લોકોએ વીજકાપ સહન કરવા પડે છે. દરિયાકિનારો ધરાવતાં વિસ્તારમાં ઓવરહેડ વીજકેબલને ભેજ તથા કાટની સમસ્યાઓ પણ નડતી હોય છે અને તે કારણે વધુ ફોલ્ટ આવતાં હોય છે. આ ઉપરાંત અકસ્માતોનો પણ સતત ભય રહેતો હોય છે. આ બધી સમસ્યાઓ ટાળવા તેમજ દેશભરમાં જિલ્લામથકોને વીજતંત્રની દ્રષ્ટિએ આધુનિક અને વધુ ઉપયોગી બનાવવા કેન્દ્ર સરકારે આ યોજના અમલમાં મૂકી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખામંડળ વિસ્તારમાં પણ રૂ. 1.70 કરોડનાં ખર્ચે અંદાજે 10 કિમી લંબાઈના ભૂગર્ભ વીજકેબલ બિછાવવામાં આવશે, એમ અધિક્ષક ઈજનેરે જણાવ્યું છે. આ કામગીરી પૂર્ણ થતાં આ તમામ વિસ્તારોમાં વીજવિક્ષેપની સ્થિતિ સારાં એવાં પ્રમાણમાં ઘટાડી શકાશે. લોકોની પરેશાનીઓ એટલાં પ્રમાણમાં ઓછી થશે. અત્રે એ પણ નોંધનીય છે કે, આ અગાઉનાં વર્ષોમાં પણ જામનગર શહેરમાં ભૂગર્ભ વીજકેબલની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ દસેક કિમી લંબાઈના ભૂગર્ભ વીજકેબલ પાથર્યા પછી, કેન્દ્ર સરકાર સ્તરેથી જ આ યોજનાને બ્રેક લાગી ગઈ હતી. હવે ફરીથી જામનગર, ખંભાળિયા અને ઓખામંડળ વિસ્તારમાં આ કામગીરી, સંભવતઃ નવાં વર્ષ 2023 થી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે.