Mysamachar.in-જામનગર:
જામનગરમાં ભૂગર્ભગટર એક જબરો વિષય છે ! સતત 36 વર્ષ પછી પણ આજની તારીખે ભૂગર્ભ ગટર પાછળ કોર્પોરેશન વાર્ષિક કરોડો રૂપિયાનું આંધણ કરે છે ! આમ છતાં, રોજ સવાર પડે ને કોર્પોરેશનની પ્રેસનોટ પત્રકારોના મોબાઈલમાં ધડ કરતી પડે…આજે ફલાણાં ફલાણાં વોર્ડમાં, ફલાણી સોસાયટીમાં, ફલાણાં અધિકારીનાં માર્ગદર્શન હેઠળ, મશીનો વડે ભૂગર્ભ ગટર સફાઇ કામગીરી ચાલી રહી છે. સાથે ફોટાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. કોર્પોરેશનનો ‘ વહીવટ’ ખૂબ જ પારદર્શક હોવાનું દેખાઈ રહ્યું છે, પ્રથમ નજરે…
મહત્વનો મુદ્દો એ છે કે, ભૂગર્ભ ગટર ઉભરાઈ શા માટે જાય ?! પ્રત્યેક ઘર, દુકાન કે ઓફિસ અથવા એપાર્ટમેન્ટમાંથી જે વપરાશી પાણી નજીકની ભૂગર્ભગટરના મેનહોલ તરફ જતું હોય છે. ઘર કે ઈમારતમાંથી વપરાશી પાણી ગટરમાં જાય તે પહેલાં જે તે ઈમારતમાં એવી વ્યવસ્થા હોય જ છે કે, ગટરમાં માત્ર પાણી જ જાય, કચરો કે અન્ય કોઈ પદાર્થ કે ચીજવસ્તુઓ ન જાય. જો આવી વ્યવસ્થા ન હોય તો, ભૂગર્ભ ગટરશાખાએ આ વ્યવસ્થા કરવી કે કરાવવી જોઇએ. ભૂગર્ભ ગટર બ્લોક થાય, ઉભરાઈ અને પછી સફાઈ કામગીરી આદરવી અને ફોટાઓ પડાવવા તેનાં કરતાં તો બહેતર છે કે, ગટર બ્લોક ન થાય એવી વ્યવસ્થા કરીએ તો સૌનાં સમય, શક્તિ બચે, કોર્પોરેશન મારફતે આ કામ માટે ખર્ચ થતાં કરદાતા નગરજનોના નાણાં પણ બચે. આવું ન થઈ શકે ?!
તંત્રનો દાવો એવો વિચિત્ર છે કે, લોકો ગોદડાં અને જૂની સાવરણીનો સહિતનો કચરો ભૂગર્ભ ગટરમાં નાંખે છે !!! અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન વર્ષ દરમિયાન ભૂગર્ભ ગટર સફાઇ કામગીરી પાછળ રૂ. 200-300 લાખનો ખર્ચ કરી નાંખે છે ! આ કામ માટે સંખ્યાબંધ કોન્ટ્રાકટર એજન્સીઓ પણ રાખી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, પ્રસિદ્ધિ માટે સતત તડપતી રહેતી મહાનગરપાલિકા ક્યારેય એ જાહેર કરતી નથી કે, કોર્પોરેશનને ભૂગર્ભ ગટર સફાઇ કામગીરી સંદર્ભે કેટલી ફરિયાદો મળી રહી છે ? વર્ષ દરમિયાન અંદાજે પાંચ-છ હજાર જેટલી ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે !!