Mysamachar.in-અમદાવાદ
ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યો છે. તેમાય જામનગર અને રાજકોટમાં મેઘકહેર હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ જોવા મળ્યું છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 197 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં જૂનાગઢ, સુરત, રાજકોટ અને જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડિપ્રેશનની અસરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, ગીર, સોમનાથ, દમણ, દાદરા નગર-હવેલી, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 3 દિવસ રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં વરસાદનું સંકટ હજુ પણ યથાવત રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.
રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં ત્રણ દિવસ જૂનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 20 સ્ટેટ હાઈવે સહિત 214 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરાયા, 121 ટ્રિપ રદ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર,ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ થશે એવી આગાહી છે. 17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુઘી ઉત્તર ગુજરાત તથા મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ એટલે કે તા-16 & 17 ગુરુવાર તથા શુક્રવાર ના રોજ ભારે થી અતિભારે વરસાદ ની શક્યતાને ધ્યાનમા રાખી જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીના આદેશથી આજે બપોરના મોબાઇલ ટેક્ષ કલેક્શન વેનમા નીચાણવાળા તથા નદીકાંઠાના વિસ્તારના લોકોને સલામત સ્થળ પર ખસી જવા માટે ઓડિયો કલીપ થી અપીલ કરવામા આવી રહી છે.