Mysamachar.in-અમદાવાદ:મહેસાણા
રાજ્યમાં વધુ બે અકસ્માતોની ઘટના સામે આવી છે મહેસાણા અને અમદાવાદ બગોદરા હાઈવે પર બે જુદા જુદા અકસ્માતોમાં 7 લોકોના જીવ ગયા છે, ગમખ્વાર અકસ્માતની પહેલી ઘટનાની વાત કરીએ તો રાજ્યમાં વધી રહેલા અકસ્માતોમાં કેટલીય વખત એવું વધુ જોવા મળે છે કે ઇકો કારને વધુ અકસ્માત થાય છે, એવામાં આવો જ વધુ એક અકસ્માત આજે વહેલી સવારે ધોળકાથી બગોદરા હાઈવે પર થયો છે, અકસ્માતમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણ કરતાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
જયારે બીજા અકસ્માતમાં મહેસાણા જીલ્લાના વડનગર પાસે આવેલા શેખપુર નજીક રાત્રે એક વાનચાલકે બે બાઈક સવારને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ગાડી ચાલક ગાડી ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. શેખપુર ગામના બે મિત્રો ખેરાલુ પાસે આવેલ જીઆઇડીસીમાં સાથે નોકરી કરે છે. જેથી બંને એક બાઈક પર સવાર થઈને ખેરાલુ નોકરી કરવા જવા નીકળ્યા હતા. જ્યાં પૂરઝડપે પસાર થતી મારૂતિ વાન GJ02DE9947ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં બંને યુવાન રોડ પર પટકાતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત સર્જી ગાડી ચાલક ગાડી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.