Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે મુકાયેલા ટ્રાફિક સિંગ્નલો શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. ટ્રાફિક સિંગ્નલો બંધ હોવાને લઇને ટ્રાફિકના જવાનોએ મેન્યુલી ઓપરેટી સિસ્ટમ હાથ ધરવી પડી છે. આમ જામનગરમાં અનેક વિસ્તારોમાં ટ્રાફિક સિંગ્નલો બંધ હાલતમાં હોવાથી ટ્રાફિકપોલીસ માટે માથાનો દુખાવો થાય તેવો ઘાટ સર્જાયો છે, શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્યા હતા.
જેમાંથી જયાં ટ્રાફિક નથી તેવા જનતા ફાટક ઉપર માત્ર એક જ જગ્યાએ આ ટ્રાફિક સિંગ્નલો હાલમાં કાર્યરત છે. જયારે બાકીના તમામ ટ્રાફિક સિંગ્નલો હાલ બંધ સ્થિતિમાં ધુળ ખાઇ રહ્યા છે. જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમાં ટ્રાફિક સિંગ્નલો બંધ હાલતમાં છે, તેમજ જયાં સૌથી વધુ ટ્રાફિકવાળો રસ્તો છે તેવા અંબર ચોકડી તેમજ ગુરૂદ્વારા વિસ્તારમાં મુકવામાં આવેલા ટ્રાફિક સિંગ્નલો લબક જબક થાય છે,
ટ્રાફિક સિંગ્નલો બંધ હોવાથી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ભારે પરેશાની થાય છે અને સિંગ્નલો બંધ હોવાથી ટ્રાફિકનું નિયમન મેન્યુલી ઓપરેટ કરવું પડે છે. આ ઉપરાંત શરૂ સેકશન રોડ ઉપર સંતોષી ર્માં ના મંદિર પાસે મુકવામાં આવેલા ટ્રાફિક સિંગ્નલ પણ બંધ છે.આ ટ્રાફિક સિંગ્નલો મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ છે. લાખો રૂપિયાના ખર્ચે એજન્સી દ્વારા આ ટ્રાફિક સિંગ્નલોને કાર્યરત કરવામાં આવ્યા હતા. ટ્રાફિક સિંગ્નલની જાળવણીના અભાવે ટૂંક સમયમાં જ આ મુકવામાં આવેલા ટ્રાફિક સિંગ્નલો બંધ થઇ ગયા હતા. આજે આ ટ્રાફિક સિંગ્નલો શોભાના ગાંઠીયા સમાન બન્યા છે
જો મહાનગરપાલિકા દ્વારા જે એજન્સી દ્વારા આ ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવેલ છે તેની પાસે અને તેના ખર્ચેને જોખમે ટ્રાફિક સિંગ્નલો કાર્યરત કરવા જોઇએ તેવી માંગ જામનગર શહેરના શહેરીજનો કરી રહ્યા છે જામનગરમાં ટ્રાફિક સિગ્નલનો પ્રશ્ર્ન વર્ષોથી રહ્યો છે. આ ટ્રાફિક સિગ્નલોના મુદ્દે ભુતકાળમાં આંદોલન કરાયા બાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડી શહેરમાં જુદા-જુદા સ્થળોએ ટ્રાફિક સિગ્નલો લાખો રૂપિયાના ખર્ચે મુકવામાં આવ્યા છે.
જેમા ડી.કે.વી. સર્કલ, જી.જી.હોસ્પિટલ, અંબર ચોકડી, બેડી ગેઇટ, શરૂ સેકશન રોડ સંતોષી ર્માં ના મંદિર પાસે જનતા ફાટક, રોઝી પેટ્રોલ પંપ પાસે આ ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્યા હતા. પરંતુ તમામ સ્થળોમાંથી માત્ર એકાદ સ્થળે ટ્રાફિક સિંગ્નલની લાઇટો ચાલુ છે. પરંતુ આ સ્થળે ટ્રાફિક ન હોવાથી આ સિંગ્નલો બીન ઉપયોગી રહ્યા છે. જયારે જરૂરીયાત છે તેવા ટ્રાફિકવાળા પોઇન્ટો ઉપર ટ્રાફિક સિંગ્નલો બંધ હાલતમાં છે. મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ ટ્રાફિકના સિંગ્નલો તાકિદે કાર્યરત કરવામાં આવે તેવી માંગ જામનગર શહેરના વાહનચાલકોમાં છે.