Mysamachar.in-અરવલ્લી
અરવલ્લી જિલ્લા ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેમનો વચેટિયો રૂ.2000ની લાંચ લેવાના મામલામાં એસીબીની ટીમે ટાઉન પ્લાનિંગ ઓફિસ ખાતેથી નગર નિયોજન વર્ગ-1ના ઓફિસર કિરીટકુમાર ચંદુલાલ રાવલને અને વચેટિયા પ્રતીક નેમેષભાઈ જયસ્વાલને ઝડપી પાડીને તેમની સામે અરવલ્લી જિલ્લા એસીબીએ આગળની તપાસ હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લા ટાઉન પ્લાનીંગ એન્ડ વેલ્યુએશનની કચેરીમાં એક અરજદારે થોડા સમય અગાઉ બિનખેતી જમીન મંજુર થયેલ નક્શો તથા તેની મંજૂરી શરતોની સર્ટિફાઇડ નકલ મેળવવા અરજી કરી હતી.તેને આ કચેરીમાં વારંવાર ધક્કા ખવડાવતા એણે નકલ માટે અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.
પરંતુ અધિકારીએ નકલ મેળવવા માટે વચેટિયા તરીકે ઓળખાતા પ્રતીક નેમેષભાઈ જયસ્વાલને રૂ.2 હજાર રૂપિયા આપી નકલ મેળવી લેવા માટે જણાવતા જાગૃત નાગરિકે અરવલ્લી એસીબીનો સંપર્ક સાધતા એસીબી ટીમે મોડાસા ટાઉન પ્લાનિંગની ઓફિસ ખાતે છટકું ગોઠવ્યું હતું. જે દરમિયાન ટાઉન પ્લાનિંગ અધિકારીનો વચેટિયા પ્રતીક જયસ્વાલ રૂપિયા 2000ની લાંચ લીધા બાદ ટાઉન પ્લાનીંગ અધિકારી કે. સી. રાવલ રૂપિયા 2000ની લાંચ લીધી હોવાનું કન્ફર્મેશન આપતા એસીબીની ટીમે ટાઉન પ્લાનિંગ ઓફિસરને તેમની કચેરી ખાતેથી ડિટેઈન કરી મોડી સાંજે એસીબીની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા.