Mysamachar.in-ગુજરાત
આ વર્ષે ચોમાસાએ રાજ્યમાં જાણે પેટર્ન બદલી હોય તેવું થયું શરુઆત ખુબ સારી રહી…પરંતુ બાદમાં વરસાદ સાવ ના વરસતા લોકો ચિંતિત હતા, અને સુકા દુષ્કાળના ડાકલા વાગી ગયા હતા, સરકાર પણ ચિંતાતુર હતી, અને ડેમોમાં પણ પાણી નહોતા…ત્યારે આગોતરા આયોજનોની તૈયારીઓ થવા લાગી હતી, ત્યાં જ સપ્ટેમ્બર માસમાં જાણે મેઘરાજા મહેર કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં સુકા દુષ્કાળની ચિંતા હતી ત્યાં લીલો દુષ્કાળ જેવી સ્થિતિ થઇ જવા પામી છે આ તમામ વચ્ચે આખરે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી રહેલા વરસાદે આખરે આજે બ્રેક લીધો છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. જોકે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. વાવાઝોડું શાહીન હવે ગુજરાત કાંઠેથી 400 કિમી દૂર નીકળી ગયુ છે. આમ હવે શાહીનનો ખતરો ટળી ગયો છે. આ તમામ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત હાલ પૂરતા દેખાઈ નથી આવતા..આમ હવે રાજ્યમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરુ થઇ ચુક્યું છે.