Mysamachar.in-જામનગર:
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જયંતિ નિમિત્તે સમાજને પ્રમાણિકતાની શીખ આપતો કાર્યક્રમ યોજીને ગાંધીજીને ખરા અર્થમાં અંજલી આપવા ઈમાનદારીની દુકાનનું આયોજન એક સંસ્થાએ કર્યું છે. જામનગરમાં શ્રધ્ધા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 150મી ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીજીનો પ્રમાણિકતાનો સંદેશો સમાજમાં વહેતો કરવા ડી.કે.વી કોલેજ સર્કલ ખાતે એક ઈમાનદારીની દુકાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દુકાન જીવનજરૂરી વસ્તુઓ તેની મૂળ કિંમત કરતા ઓછા ભાવે વેચાણમાં રાખવામાં આવી હતી, વધુમાં આ દુકાનનું સંચાલન કરવા કોઈ ઉપસ્થિત પણ નહોતું…
આ એવી પ્રમાણિકતા ની દુકાન હતી જેમાં લોકોએ પોતાની રીતે મનપસંદ વસ્તુ ખરીદીને લખેલી કિંમત મુજબની રકમ ગલ્લામાં પોતાના હાથે મૂકી દેવાની રહેશે. સમગ્ર આયોજનમાં લોકોનની ઈમાનદારી અગ્રસ્થાને રાખવામાં આવી છે, સંસ્થાના પ્રમુખ અને ઈમાનદારીની દુકાનની પરિકલ્પના લાવનાર આનંદ દવે એ કહ્યું કે ઈમાનદારીની દુકાનમાં ગાંધીજીની યાદમાં પ્રતિક રૂપે ચરખો, રેંટીયો, ચશ્મા, તો રાખવામાં આવ્યા છે, ઉપરાંત ગાંધીજીના પાત્રમાં એક વ્યક્તિ ઉપસ્થિત રહીને ગાંધીજી તરીકે વિચારો રજૂ કરશે. ઈમાનદારીની દુકાન મેડિકલ ઇક્વીપમેન્ટસ ગાંધીજી ને લગતુ સાહિત્ય, કપડા, પંખા, મીક્ષર-ગ્રાઈન્ડર, એલઇડી લાઇટો જેવી ઇલેક્ટ્રોનિક આઈટમો, કરીયાણું, કપડાં, ટાઈ, હેલ્મેટ સહિતની ૫૦ જેટલા પ્રકારની વસ્તુઓ વેચાણમાં મુકવામાં આવી હતી.