Mysamachar.in-જામનગર:
પ્રત્યેક ચૂંટણીઓમાં ઉમેદવારીપત્ર દાખલ કરવાની ઘડીઓ બધાં જ ઉમેદવારો તથા રાજકીય પક્ષો માટે ખૂબ જ ઉત્સાહની ક્ષણો હોય છે. આ વિધાનસભા ચૂંટણીમાં પહેલી ડિસેમ્બરે જ્યાં મતદાન થવાનું છે તે તમામ 89 બેઠકો પર આજે ફોર્મ દાખલ કરવાનો આખરી દિવસ છે. જામનગર જિલ્લામાં પણ પાંચેય વિધાનસભા બેઠકોની ફોર્મ દાખલ કરવાની પ્રક્રિયા આજે સાંજે પૂર્ણ થશે. ચૂંટણીનાં આ પ્રથમ તબક્કામાં જામનગર અને દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે.
આજે સવારથી જ જામનગર શહેરમાં અને જિલ્લામાં સતાવાર ઉમેદવારો, ડમી ઉમેદવારો, અપક્ષો, ફોર્મ દાખલ કરવાની પ્રક્રિયા દરમિયાન ઉપયોગી પૂરવાર થતાં રાજકીય આગેવાનો અને જાણકારો તથા પક્ષનાં લીગલ સેલના અગ્રણીઓ તેમજ હજારો કાર્યકરોમાં અનેરો ઉમંગ અને જબરી ઉતેજના જોવા મળી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર હસ્તકનાં વિવિધ બેઠકો માટેનાં ચૂંટણી અધિકારીઓની કચેરીઓએ સવારથી જ પોલીસ સહિતની એજન્સીઓએ પોઝિશન સંભાળી લીધી છે. ઉમેદવારોએ સૌ સંબંધિતોના આશિર્વાદ મેળવ્યા છે, ભગવાન સમક્ષ માથું નમાવી લીધું છે અને હજારો ટેકેદારો તથા કાર્યકરો પાસેથી શુભેચ્છાઓ અંકે કરી લીધી છે.
અત્રે નોંધનીય છે કે, આજે સોમવારે સાંજ સુધીમાં તમામ ફોર્મ થયાં બાદ આવતીકાલે મંગળવારે તમામ ફોર્મ ની ચકાસણી થશે. પૂર્તતા થશે. અને, ફોર્મનો સ્વીકાર અથવા રિજેકશન થશે. ત્યારબાદ ગુરૂવારે બપોર સુધીમાં જે ઉમેદવારો ચૂંટણી લડવા ઇચ્છુક નહીં હોય તેઓ પોતાનું નામાંકનપત્ર પરત ખેંચી શકશે. એટલે, ગુરૂવારે સાંજે ચિત્ર સ્પષ્ટ થશે કે, કઈ બેઠક પર કુલ કેટલાં ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ? અને તેઓ કોણ કોણ છે ?
અત્રે એ પણ નોંધનીય છે કે, દરેક બેઠકો પર મુખ્ય ઉમેદવારોને ભીડવવા ઘણાં બધાં લોકો ફોર્મ ભરતાં હોય છે. અથવા, તેઓ પાસે ફોર્મ ભરાવવામાં આવતાં હોય છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડીઓ પહેલાં ઘણાં પ્રકારના સેટિંગ્સ પણ ગોઠવાતાં રહે છે. આખરે તમામ ઉમેદવારોની સતાવાર યાદી, તેઓનાં ચૂંટણી પ્રતિકો વગેરેની જાહેરાતો સંબંધિત બેઠકો માટેનાં ચૂંટણી અધિકારીઓ દ્વારા થતી હોય છે અને પછી પ્રચાર તથા મતદાન અને છેલ્લે મતગણતરીનાં તબક્કા સાથે ચૂંટણીઓ પૂર્ણ થતી હોય છે. સામાન્ય ઘટનાક્રમ આ રહે છે. આ વખતની ચૂંટણીમાં મતદારો ઓછું મતદાન કરે એવી પણ એક શક્યતા છે ! હિમાચલ પ્રદેશમાં માંડ માંડ 65 ટકા મતદાન થયું છે. અને, આ વખતે જામનગર સહિત રાજ્યભરમાં 32 વર્ષ પછી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હોય, મતદારોનાં મતો વેરવિખેર પડશે જે અણધાર્યા પરિણામો પણ સર્જી શકે ! ઘણાં ઉમેદવારો સાવ ઓછાં મતે હારજિત પામે એવું પણ શક્ય બને. આ ચૂંટણીમાં કોઈ પ્રકારનો ‘પવન’ નથી અને મતદારો મૌન છે, તેલ અને તેલની ધાર જૂએ છે. હાલ ઉત્સાહ માત્ર નેતાઓ અને કાર્યકરોમાં જ જોવા મળે છે.