Mysamachar.in-જામનગર
દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઓક્ટોબર માસના બીજા બુધવારને આંતરરાષ્ટ્ર્રીય ડીઝાસ્ટર રીસ્ક રીડકશન ડે તરીકે મનાવવામાં આવે છે. કુદરતી તેમજ માનવ સર્જીત આફત જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડુ, રાસાયણીક અકસ્માત, આગ, રોગચાળો વગેરે જેવી આપત્તીઓ સંપુર્ણપણે અટકાવી શકાતી નથી પરંતુ થોડીક કાળજી અને સજાગતા તથા પુર્વ તૈયારીથી આફતથી થતી જાનમાલની નુકશાનીમાં ઘટાડો કરી શકાય છે.
ભુતકાળમાં આવી ગયેલ આફતો જેવી કે 2001નો વિનાશકારી ભુકંપ, મોરબી ડેમની હોનારત, કંડલાનુ વાવાઝોડૂ, સુરતનુ પુર તથા પ્લેગ અને ચાલુ વર્ષે કોરોના જેવી કુદરતી તેમજ માનવસર્જીત આફતોથી માનવ જીવન વેર વિખેર થઈ જાય છે. આફતનો કોઈ ચોક્ક્સ સમય હોતો નથી ત્યારે આપણે સૌ સહીયારી પ્રયાસથી આપત્તી સામે સતર્ક્તા દાખવીએ તે જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી આજે કુદરતી ઋતુચક્ર પણ અનિયમીત બન્યુ છે ત્યારે તા.14/10/ બુધવારના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ બાબતે મંથન કરવામાં આવે છે અને આફતથી થતી નુકશાનીની માત્રામાં ઘટાડો કરવાના અલગ અલગ પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
આ વર્ષે “Disaster Risk Governance” થીમ દ્વારા આફત સામે પુર્વ તૈયારી જેવી કે અર્થક્વેક રેજીસ્ટેન્ટ ટેકનોલોજીની મદદથી મકાનનુ નિર્માણ કરવું, ક્ષમતાવર્ધન અંતર્ગત તાલીમના આયોજન, અલગ અલગ સ્તર પર મોકડ્રીલનું આયોજન અને અલગ અલગ આફત અંગે જાગૃતી નિર્માણ વગેરે આયોજન કરવામાં આવે છે. પુર્વ તૈયારી અને સજાગતાના અભિગમને ધ્યાનમાં રાખીને આપણા બાળકો તથા સમાજના અન્ય લોકોને વિવિધ કુદરતી તેમજ માનવસર્જીત આફતો પહેલા, દરમિયાન અને પછી શું કરવુ અને શું ન કરવુ તેનાથી માહિતગાર કરવા પ્રયાસ હાથ ધરીયે અને આવનાર પેઢીને આવનાર સમય માટે સુસજ્જ કરીએ.
આપણા રહેણાંકની આજુબાજુમાં આવેલ જોખમોને ઓળખવાની અને સુરક્ષીત કરીયે. ચાલો આપત્તી નિવારણ અને સલામત સમાજના નિર્માણમાં સહભાગી બનીએ. “આફત સામેની પુર્વ તૈયારી એજ ઉપાય” “ સજ્જ થઈશુ તો સલામત રહેશું” તેમ કલેકટર જામનગર રવિશંકરની યાદીમાં જણાવાયું છે.