Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી છે, અને જામનગર જીલ્લાના લોકોએ તેમાં ખુબ સહકાર આપ્યો છે, પણ આવો જ સહકાર અને ઉજવણીમાં સંયમ રાખવાની લોકોએ ખુબ જરૂર છે, કારણ કે કોરોનાના કેસો ઘટ્યા છે, પણ પૂર્ણ નથી થયા ત્યારે દિવાળીમાં ગીફ્ટ, મીઠાઈનું આદાનપ્રદાન, હાથ મિલાવવા વગેરેમાં લોકોએ આ વર્ષે નિયમોમાં ફેરબદલ કરવાની જરૂર છે, નહિતર જામનગર જીલ્લામાં કોરોનાના કેસોનો ગ્રાફ ફરી ઉપર જઈ શકે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે,
ત્યારે જામનગર કલેકટર રવિશંકર, કમિશ્નર સતીશ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગે અને નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયાએ સંયુક્ત રીતે યોજેલ પત્રકાર પરિષદમા લોકોને તહેવારોના દિવસોમાં વિશેષ કાળજી રાખવા અનુરોધ કર્યો છે. વધુમાં જામનગર જીલ્લા અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા દ્વારા દિવાળીના તહેવારના દિવસોમાં ફટાકડા ક્યારે ફોડી શકાય, કેવા વિસ્તારો આસપાસના ફોડી શકાય, વગેરે 8 મુદ્દાઓનું વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે.
• દિવાળીના તહેવારો દરમ્યાન રાત્રીના 20:00 થી 22:00 કલાક દમ્યાન જ ફટાકડા ફોડી શકાશે.
• સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતિ હોવાથી તે રાખી શકાશે નહી. ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકશે નહી.
• હાનીકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે PESO ધ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર PESO થી સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.
• હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.
• કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી. રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.
• ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઇ શકાશે નહી કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી.
• લોકોને અગવડ ઉભી ન થાય કે કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જામનગર જીલ્લાની બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોડાઉનની નજીક ફટાકડા/દારૂખાનું ફોડી શકાશે નહી.
• કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજી બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાળી શકાશે નહી.