Mysamachar.in-ગુજરાત
ગુજરાત સહિત દેશભરના હજારો ખેડૂતો આજે દિલ્હીમાં છે. તેઓ સરકારને પોતાની માંગણીઓ જણાવશે, ખેડૂતો ઘણાં બધાં ફેરફારો ઈચ્છે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પેટા સંગઠન ભારતીય કિસાન સંઘે આ આંદોલનની આગેવાની સંભાળી છે. RSSના ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે વધુ એક વખત ખેડૂતોની પડતર માંગણીઓ અંગે આજથી દેશનાં પાટનગર ખાતે આંદોલનનો આરંભ કર્યો છે. શનિવારે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરથી સેંકડો લકઝરી બસોમાં બેસી હજારો ખેડૂતો દિલ્હી જવા રવાના થયા હતાં. કિસાન સંઘનાં ગાંધીનગરસ્થિત બલરામ ભવન ખાતેથી આ તમામ ખેડૂતો દિલ્હી જવા રવાના થયા ત્યારે સંઘનાં ખેડૂત આગેવાન વિઠ્ઠલ દૂધાત્રાએ જણાવ્યું હતું કે, હર ખેતમેં પાની અમારી મુખ્ય માંગ છે.
આ ઉપરાંત ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે, ખાતર, બિયારણ અને ખેતઓજારો સહિતના કૃષિ વિષયક સાધનો પરથી GST હટાવવામાં આવે. વિઠ્ઠલ દૂધાત્રાએ જણાવ્યું હતું કે, ખેત ઉત્પાદન પાછળ ખેડૂતોને જે ખર્ચ થાય છે અને મહેનત કરવી પડે છે તેની સરખામણીમાં ખેડૂતોને ખેત ઉત્પાદનોનાં યોગ્ય ભાવો મળતાં નથી. જેથી આ ઉત્પાદનોની ખરીદકિંમત નક્કી કરવાની પદ્ધતિ ગોઠવવી આવશ્યક છે. દિલ્હીમાં રામલીલા મેદાનમાં આજે સોમવારથી આ ખેડૂત આંદોલનનો પ્રારંભ થયો છે જેમાં દેશભરનાં 560 જિલ્લાઓના હજારો ખેડૂતો જોડાયા છે. ખેડૂતોને આશા છે કે, કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ખેડૂતોની આ માંગો પર ધ્યાન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આંદોલનનો આજે પ્રારંભ થયો તે પહેલાં ગુજરાત સહિત દેશભરમાં 560 જિલ્લાઓમાં કિસાન સંઘનાં નેજા હેઠળ ખેડૂતોએ આ તમામ માંગણીઓ સાથેનાં આવેદનો સ્થાનિક જિલ્લા સત્તાવાળાઓને સોંપ્યા હતાં.