જામનગર જીલ્લાનું આ છે એવું ગામ જ્યાં 24 કલાક ઘરે-ઘરે નળ દ્વારા પાણીની છે સુવિધા
સો ટકા નળ કનેક્શન, ખુલ્લામાં શૌચ મુક્ત અને ભૂગર્ભ ગટર સાથે આદર્શ ગ્રામ તરફ અગ્રેસર આ ગામ

Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં હંમેશા પાણીની તકલીફ જોવા મળી છે. કુદરતી રીતે જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો એવો જિલ્લો છે, જયાં પાણીની તંગીથી લોકો ખૂબ ત્રસ્ત રહેતા હોય છે, પરંતુ, સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા માટે અનેક પેટા જૂથ યોજનાઓ, સૌની યોજના થકી હવે સૌરાષ્ટ્રનો પાણીપ્રશ્ન મહદઅંશે ભૂતકાળ બની ગયો છે.ભૂતકાળમાં સૌરાષ્ટ્રનું નામ સાંભળતા જ પાણીની તંગી વેઠતો પ્રદેશ આંખ સામે તરવરતો, નર્મદાના નીરથી સૌરાષ્ટ્ર આજે પાણીની તંગીના બદલે પાણીથી તરબોળ પ્રદેશ બન્યો છે.
પાણી લોકોના ઘરે-ઘરે નળ દ્વારા પહોંચે તે માટે સરકારે “નલ સે જલ” યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આજે જામનગર જેવા પાણીની ફરિયાદ કરતા જિલ્લામાં પણ આ યોજનાનો લાભ થકી જિલ્લાના ગામો પાણીદાર બન્યા છે, જેમાંના કાલાવડ તાલુકાના રીનારી ગામની વાત કરીએ તો, કાલાવડ થી 11 કિલોમીટર દૂરનું આ રીનારી ગામ પાણીદાર બન્યું છે. ગામનાં લોકો આજે 24 કલાક ઘરઆંગણે પાણી મેળવી રહ્યા છે. સામાન્ય રીતે પાણી માટે લોકોના મુખેથી ફરિયાદ સાંભળવા જ મળતી હોય છે ત્યારે રીનારી ગામના લોકો કહે છે કે, અમે પાણી મેળવીને ખૂબ સંતુષ્ટ છીએ.
"650 લોકોની વસ્તી ધરાવતું અમારું રીનારી ગામ બે વર્ષ પહેલા પાણીની તકલીફથી પીડાતું હતું. વળી પાણી જે આપવામાં આવતું, તેમાં પણ પાઈપલાઈન વ્યવસ્થા અને ઊંચાણવાળા વિસ્તારના કારણે અનેક પ્રશ્નો રહેતા. સતત પાણીથી અસંતોષ અને પાણી માટે સતત મોટર ઉપર નિર્ભર રહેવાને કારણે ગામલોકોના વીજ બિલ પણ ખૂબ મોટા આવતા હતા.”
રીનારી ગામમાં પાણીની પાઈપલાઈનની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. ત્યારબાદ ગામલોકોએ સહકાર સાથે આ યોજનાનો મહત્તમ લાભ ગામના ઘરે-ઘરે પહોંચે તે માટે દ્રઢ નિર્ધાર સાથે કામગીરી શરૂ કરી. જો કે અગાઉ ગામમાં પાણી વિતરણ થતું તેનાથી ખૂબ જ અસંતોષ હતો, સાથે જ ગામના ઉંચાણવાળા વિસ્તારોના ઘરોને તો મોટર ચાલુ કરવા છતાં પાણી પહોંચતું જ ન હતું. નલ સે જલ યોજના સાથે જોડાયા ત્યારે આ પ્રશ્નને પણ નિવારી અને ગામના ઘરે ઘરે એક સરખા પ્રમાણમાં પાણી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવા અમે ગ્રામ લોકોએ ગામને સાત વિભાગમાં વહેંચી અને પ્રથમ દરેક ઘરને ભૂગર્ભ ગટર સાથે જોડી રોડના લેવલીંગ કર્યા.
પ્રોપર લેવલીંગના કારણે આજે ગામના સૌથી ઊંચાણવાળા વિસ્તારથી લઈને સૌથી નીચાણવાળા વિસ્તારમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે છે અને ચોવીસ કલાક લોકોના ઘરે પાણી પહોંચવાથી લોકો ખૂબ ખુશ છે. હાલ રીનારી ગામના દરેક ઘર ભૂગર્ભ ગટર સાથે જોડાયેલા છે, સાથે જ ઘરે-ઘરે શૌચાલયની વ્યવસ્થા છે. આમ રીનારી ગામ સો ટકા ખુલ્લામાં શૌચમુક્ત, સો ટકા ભૂગર્ભગટર જોડાણ ધરાવતું અને સો ટકા પાણીના નળ કનેક્શન સાથે આદર્શ ગ્રામ તરફ અગ્રસર થઈ રહ્યું છે. ગામના દરેક નળ કનેક્શન સાથે પાણીના મીટર જોડાયેલા છે, જેથી પાણીનો બગાડ પણ થતો નથી.
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર પાણીના કારણે ગંદકી જોવા મળતી હોય છે જેના કારણે મચ્છરોનો ત્રાસ થતો હોય છે પરંતુ કાલાવડનું રીનારી ગામ એવું ગામ છે કે જ્યાં તમને રસ્તા સંપૂર્ણ સ્વચ્છ જોવા મળશે અને આ જ કારણોસર ગત વર્ષે જ્યારે જામનગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં પણ ડેન્ગ્યુનો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયો હતો ત્યારે આ ગામ ડેન્ગ્યુના એક પણ કેસ વગર શાંતિથી અને સ્વસ્થતાપૂર્વક જીવી રહ્યું હતું. ગાંધીજીના વિચારો “સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આવશ્યક સ્ત્રોતોનો જરૂરિયાતપૂર્વકનો ઉપયોગ” ને આ ગામ જીવન મંત્રો માનીને જીવી રહ્યું છે.