Mysamachar.in:જામનગર
જામનગરનાં તબીબી જગતમાં ભારે ચકચાર જગાવી શકે, એવો એક ચુકાદો રાજયની ગ્રાહક ફોરમે આપ્યો છે. એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત થયેલું. આ કેસમાં મૃતકનાં પતિને રૂ.33.70 લાખનું વળતર તબીબોએ ચૂકવવું એવો આદેશ થયો છે. આ ઉપરાંત તબીબોએ આ કેસનાં કાનૂની ખર્ચ પેટે અરજદારને વધુ રૂ.25,000 ચૂકવવા એવો પણ આદેશ થયો છે. આ કેસ જામનગરમાં એસટી ડેપોના સામેનાં ભાગમાં આવેલી વિકલ્પ હોસ્પિટલ સાથે સંબંધિત છે. આ હોસ્પિટલ ડો.કલ્પના ભટ્ટની છે. આ કેસમાં રાજય ગ્રાહક ફોરમે બે તબીબોએ વળતર ચૂકવવાનું રહેશે એવો આદેશ આપ્યો છે. અને, ત્રીજા તબીબ, ફિઝિશયનને આ કેસમાં છૂટકારો આપવામાં આવ્યો છે.
આ કેસની જાણવા મળતી વિગતો એવી છે કે, જોસનાબેન પટેલ નામનાં એક મહિલા દર્દીને પેટમાં ગાંઠ છે એવું નિદાન થયા બાદ, આ મહિલાને વિકલ્પ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ દર્દીને એવી સલાહ આપવામાં આવી હતી કે, ગાંઠ દૂર કરવા લેપ્રોસ્કોપિ ઓપરેશન કરવાનું રહેશે. 2015ની પહેલી જૂને આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા પછી વિકલ્પ હોસ્પિટલમાં આ દર્દીની સ્થિતિ ગંભીર બની ગઇ,
બાદમાં આ દર્દીને ક્રિટીકલ કેર યુનિટમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થતાં બે તબીબની દેખરેખ હેઠળ તેઓને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ દર્દીનું મોત થયું. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે, તેઓનાં પેટમાં ઓપરેશન માટે ત્રણ હોલ કરવામાં આવ્યા હતાં અને 14cm નો એક કાપો પણ જોવા મળે છે.
આ દર્દીનાં ડિસ્ચાર્જ પેપર કહે છે કે, એનેસથેસિઆમાં કોઈ સમસ્યા થયેલી. જેને કારણે દર્દીને શોક લાગ્યો. બાદમાં, મૃતકનાં પતિ પરેશ પટેલએ સર્જન ડો.કલ્પના ભટ્ટ ઉપરાંત ફિઝિશયન ડો.દિપેન શાહ અને એનેસથેટિસ ડો.રાકેશ દોશી વિરુદ્ધ મોત વળતર દાવો દાખલ કર્યો. આ કેસમાં કાર્બન ડાયોક્સાઈડ એમ્બોલિઝમને દર્દીનાં મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું. અને, ફિઝિશયનને નિર્દોષ ઠરાવવામાં આવ્યા. જયારે સર્જન તથા એનેસથેટિસને જવાબદાર ઠરાવી રૂ.33.70 લાખનાં વળતરનો તથા ફરિયાદ ખર્ચનાં રૂ.25,000 મૃતકનાં વારસદારોને ચૂકવવવાનો આદેશ થયો છે. આ રકમ કેસની તારીખથી દસ ટકા વ્યાજ સાથે, 60 દિવસમાં ચૂકવવા હુકમ થયો છે.