Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ છેલ્લા કેટલાક સમયથી આંતરિક લડાઈને કારણે જાણીતો બન્યો છે, તેમાં અંદરોઅંદરની ટાંટિયાખેચ અને એકબીજાને પાડી દેવાની એક ચોક્કસ ગેમ રમાઈ રહી હોવાનું જીલ્લા પંચાયતના સુત્રો જણાવે છે, વધુમાં થોડા સમય પૂર્વે ઓડિયો કલીપોનું વાઈરલ થવું..અને અખબારોના પાનાઓ પર જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને ચમકતું રહેવાની બાબતો સામે આવે છે છતાં જવાબદારો સામે પગલા લેવાતા નથી..જે આશ્ચર્ય પમાડે તેવું ચોક્કસથી છે, વાત આટલેથી જ નથી અટકતી…
અને હમણાં એક નવો અધ્યાય શરુ થયો છે જેમાં એકાદ દિવસ પૂર્વે સોશ્યલ મીડિયામાં કાલાવડ તાલુકાના ખરેડીના સરકારી ડોકટર ખોવાઈ ગયાના લાગ્યા પોસ્ટરો અલગ-અલગ સ્થળોએ કોઈએ લગાવતા આ મામલો ગરમાતા જીલ્લાનું આરોગ્ય તંત્ર વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે, જેમાં ગ્રામજનોના આક્ષેપ મુજબ ખરેડીના મેડીકલ ઓફીસર ડો.ઝાલાવડિયા હાજર ના રહેતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, અને ડો.ઝાલાવડિયા મોટાભાગે ગેરહાજર રહેતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે,
જેથી કોઈના દ્વારા ખરેડી ગામમાં જુદી-જુદી જગ્યાએ ડોકટર ખોવાઈ ગયા છે, તેવા ફોટા સાથેના પોસ્ટરો લગાવી, ગ્રામજનો આરોગ્ય સેવાથી વંચિત હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને તબીબ હાજર ના રહેતા ગ્રામજનો આરોગ્યલક્ષી સુવિધાઓથી કોરોના જેવા કપરાકાળમાં વંચિત રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.જો આવું ખરેખર હોય તો તે ગંભીર બાબત છે,
લોકોના આક્ષેપોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટર ઝાલાવાડિયાની હાજરી છેલ્લા દોઢ પોણા બે વર્ષમાં ખુબ જ ઓછી છે. પહેલા જયારે મુકાયા ત્યારે તેવો ડેઈલી અપડાઉન કરતા હતા, પણ પછી આવે તો પણ આમ આવે ને આમ જતા રહે છે, અને આના માટે જીલ્લાથી માંડીને રાજ્યકક્ષાએ આરોગ્યવિભાગમાં રજુઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે છતાં જીલ્લાનું આરોગ્ય તંત્ર કોઈ પગલા લેવામાંના આવતા આ પોસ્ટરો લાગ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
-જેના લાગ્યા છે પોસ્ટર અને થઇ રહ્યા છે આક્ષેપ તે ડો.ઝાલાવાડિયા શું કહે છે.?
કાલાવડ તાલુકાના ખરેડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.ઝાલાવાડિયાની લાગેલા પોસ્ટરો અને તેની સામે થઇ રહેલા આક્ષેપો અંગે તેવોની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે મારી પાસે એક મહિના પૂર્વે તાલુકા હેલ્થ ઓફીસરનો ચાર્જ અને ખરેડીનો એમ બન્ને ચાર્જ હતા, જેમાં મેં સામેથી અરજી કરી અને તાલુકા હેલ્થ ઓફિસરનો ચાર્જ છોડી દીધો છે, હવે હું માત્ર ખરેડીમાં મેડીકલ ઓફીસર છું, લાગેલા પોસ્ટરો બાબતે હું પોલીસ ફરિયાદ કરીશ તેમ જણાવી અને કહ્યું કે બે-ચાર વ્યક્તિઓએ આ ઉભી કરેલી વાત છે. હું મારી જે ફરજ બજાવવાની હોય તે નિયમ મુજબ નિભાવી રહ્યો છું.
-ઇન્ચાર્જ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.બીરેન મણવર શું કહે છે.?
સમગ્ર કાલાવડ તાલુકા અને જીલ્લાના આરોગ્ય તંત્રમાં ચર્ચાની એરણે ચઢેલા આ મામલે ઇન્ચાર્જ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.બીરેન મણવરની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે આ મામલો મારે ધ્યાને આવ્યો છે અને મેં તાલુકા હેલ્થ ઓફીસર ને આ અંગે તપાસ સોંપી છે, તપાસ અહેવાલ આવ્યા બાદ વધુ કહી શકાય તેમ તેને જણાવ્યું હતું.