Mysamachar.in-ગુજરાત
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ભરતી નહીં થવાને કારણે અનેક શાળાઓ માત્ર એક બે શિક્ષકોના સહારે ચાલી રહી છે. બીજી તરફ રાજ્યમાં T.E.T પાસ કરીને બેઠેલા 47 હજારથી વધુ ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેકાર બેસી રહ્યાં છે. રોજગારી અને ભરતીના અભાવે આવા ઉમેદવારોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તે છતાંય રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નેતાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે.
મોઢવાડિયાએ પત્રમા જણાવ્યું છે કે રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી પડી છે. બીજી બાજુ T.E.Tની પરીક્ષા પાસ કરીને બેઠેલા 47 હજાર ઉમેદવારો ભરતી નહીં થવાને કારણે બેકાર બન્યાં છે. જેના લીધે તેઓ ધીરે ધીરે ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યાં છે. છતાં પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. આ બાબત ઘણી દુઃખદ છે. મોઢવાડિયાએ શિક્ષણમંત્રીને લખેલા પત્રમાં વિદ્યાસહાયકોની ભરતી કરવાની માંગ કરી છે. તે ઉપરાંત T.E.T પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવા કરવાની રજુઆત પણ કરી છે.
આ પત્રમાં ઉલ્લેખ છે કે રાજ્ય સરકાર દ્વારા 2018-19માં 6 હજાર વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે માત્ર 3262 વિદ્યાસહાયકોની ભરતી કરીને બાકીની ભરતી પાછળથી કરીશું એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી બાકી રહેલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી નથી. ચાલુ વર્ષે 3900 વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી હતી. તે પૈકી ગુજરાતી સિવાયના માધ્યમના 600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતી માધ્યમના 3300 વિદ્યા સહાયકોની ભરતી આજ દિન સુધી કરવામાં આવી નથી.
અર્જુન મોઢવાડિયાના પત્રમાં ટાંકવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા 9 જૂન 2021ના રોજ પરિપત્ર બહાર પાડીને T.E.T. પ્રમાણપત્રની વેલિડિટી આજીવન કરી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં આ વેલિડિટી માત્ર પાંચ વર્ષની છે. રાજ્ય સરકાર દ્વારા સમયસર ભરતી કરવામાં ન આવતી હોવાથી અનેક ઉમેદવારો આ વેલિડિટી મર્યાદાના કારણે ભરતીમાં ભાગ લઈ શકતા નથી અને તેમનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જાય તેમ છે. જેથી ગુજરાતના યુવાનોના ભવિષ્યને ધ્યામાં લઈને આ વેલિડીટી આજીવન કરવામાં આવે તે જરૂરી છે.