Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
માત્ર હાલાર જ નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં ધાર્મિક આયોજનોનુ કરોડો બલ્કે અબજોનુ ટર્ન ઓવર હોય છે જેમાં મંદિરો સહિત ધર્મસ્થાનો અને આશ્રમો, કથા-કીર્તનના નાના થી માંડી મોટા આયોજનો, પ્રાણપ્રતિષ્ઠા સહિતના અને યજ્ઞ વગેરે ધાર્મિક આયોજનો જુદી-જુદી નાની મોટી પુજાઓ, ભંડારો કે પ્રસાદના સામુહિક આયોજનો ,બટુક ભોજનો, ઉત્સવ કે જયંતી વખતેના ઉત્સવો વગેરેને લોકડાઉનમા બ્રેક લાગી અને હવે ધીમે ધીમે મંદિરો શરૂ થાય તો પણ તુરંત એવી કોઇ આવકના ધોધ થવાના નથી અને ધાર્મિક આયોજનો તો બંધ હોઇ એકંદર ધર્મસ્થાનોની સાથે-સાથે પુજારીઓ અને કર્મકાંડીઓ માટે હજુય કપરો સમય જ છે,
કોવિડ 19 વૈશ્વિક મહામારી તેમજ દેશ સાથે ગુજરાતમાં કોરોના મહામારીના ફેલાય તે અનુસંધાને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંક્રમણ વધુ ના ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે દેશ અને ગુજરાતમાં લોક ડાઉન 1,2,3 અને 4 તબક્કા લાગુ કરવામાં આવ્યા હતા ત્યારે ધાર્મિક વિધિઓ, સામાજિક પૂજા પાઠ, પ્રસંગિક વિધિઓ અને મંદિર મંગલમય (બંધ) રાખવા જાહેરનામા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જેનો અમલ કરવા ભાર પૂર્વક અપીલ કરવામાં આવી હતી માટે બધુ જ બંધ હતુ જેથી પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણોની રોજિંદી સાથે મહિનાની આવક બંધ થઇ ગઇ હતી, ત્યારે તેવા અમુકની તેમની અને તેમના પરિવારની સ્થિતિ કફોડી બની હતી,
કેન્દ્ર સરકાર દ્વારા ’ આત્મનિર્ભર ’ આર્થિક પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે પણ પુજારીઓ વગેરે તેમાં લાભથી વંચિત રહી જાય છે અને હજુ પણ મંદિરો ખુલ્યા છે અને ધાર્મિક, સામાજિક પૂજા પાઠ અને પ્રાસંગિક પૂજા વિધિ કે કથા માટે ખાસ છૂટછાટ આપવામાં આવેલ નથી કારણકે ભીડ એકઠી ના થાય તે હેતુથી પણ આ આવક પર નિર્ભર પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણની પારિવારિક સ્થિતિને ધ્યાને લઈ યોગ્ય કરવા સાથે અલગથી ’ આત્મનિર્ભર ’ આર્થિક પેકેજમાં સમાવેશ કરવા અથવા અલગથી આર્થિક પેકેજ જાહેર કરવા વિવિધ કક્ષાએથી માંગ ઉઠે તે સ્વાભાવિક છે.