Mysamachar.in-જામનગર:
અત્યારે કોરોના મહામારીની આફત ચાલી રહી છે, અને લોકો પોતાના સ્વજનો જે કોરોનાથી સંક્રમિત થયા છે તેને સરકારી કે ખાનગી હોસ્પીટલમાં બેડ મળે તે માટે આકાશ પાતાળ એક કરી તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પણ અમુક લેભાગુ તત્વોને આફતમાં પણ અવસર મળી જતો હોય તેમ આવા સમયમાં પણ દલાલી કરી લોકોને છેતરવામાં આવી રહ્યા છે, આવી જ કેટલીક બાબતો જામનગર વહીવટીતંત્રને ધ્યાને આવતા તંત્રએ જામનગર સરકારી કોવીડ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓના સ્વજનોને જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને કોઈપણ લોકો આવા લેભાગુઓની વાતોમાં ના આવે તેવી તાકીદ પણ કરી છે.
જી.જી.હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં પથારીઓ ખૂટી પડી છે ત્યારે દર્દીને દાખલ કરવા અસામજીક તત્વો દ્વારા દર્દીઓને દાખલ કરવા દલાલી કરવામાં આવતી હોવાની રજૂઆતો મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. લેભાગુ તત્વો માનવતા નેવે મૂકી લાચાર દર્દીઓના સગા પાસેથી પૈસા પડાવી ડોકટરો પર દબાણ કરતા હોવાની ફરિયાદોથી ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સ્થાનિક ઉપરાંત અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. જેના કારણે જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ થવા માટે વેઇટીંગ જોવા મળી રહ્યું છે.
આ કપરી સ્થિતિમાં અમુક અસામાજિક તત્વો દ્વારા જી. જી. હોસ્પિટલ ખાતે દર્દીને દાખલ કરવા માટે દલાલી શરૂ કરી લાચાર દર્દીના સગા પાસે પૈસા પડાવી અને ડોક્ટર ને દબાણ કરવાના બનાવો ધ્યાનમાં આવતા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે, અને લોકોને પણ ચેતવ્યા છે જેથી કોઈ આવા લેભાગુની વાતોમાં આવી અને પૈસા ના આપી દે…જો કે આ મામલે હવે પોલીસ દ્વારા પણ હોસ્પિટલ ખાતે છુપી નજર રાખવામાં આવી રહી છે.અને જો કોઈ તત્વો આવું કરતા ઝડપાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.ગતસાંજે પણ જામનગર એસપી દીપન ભદ્રન, એ.એસ.પી.નીતેશ પાંડે, શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, શહેર મામલતદાર નંદાણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ જામનગર જીજી હોસ્પિટલ પરિસરની મુલાકત લઇ જરૂરી ચર્ચાઓ કરી ફેરફાર કરવાની વિચારણાઓ પણ કરી હતી.