Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં નિવૃત દંપતી પરિવારના એક મહિલા દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોને ટપારતા આ શખ્સોએ પથ્થરના ઘા ઝીંકીને વિપ્ર વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધાની ચોકાવનારી ઘટના સામે આવી હતી, જો કે દેવભૂમિ દ્વારકા પોલીસની ટીમે આ ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવામાં સફળ રહી છે, આ બનાવની વિગત કઈક એવી હતી કે કલ્યાણપુરમાં બાલવી માતાજીના મંદિર પાસે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા જટાશંકરભાઇ વેલજીભાઈ ભોગાયતા નામના વિપ્ર વૃદ્ધ તથા તેમના 65 વર્ષીય ધર્મપત્ની જયાબેનના બે પુત્રો જામનગર ખાતે સ્થાયી થયા છે અને ગોરપદુ કરી અને ત્યાં તેઓ જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે.
જ્યારે જટાશંકરભાઈ તથા તેમના પત્ની જયાબેન કલ્યાણપુરમાં રહેતા હતા. આ દંપતી સોમવારે સાંજે ઘર માટે કરીયાણુ લેવા ગયા હતા, અને રાશન લઈને જયાબેન ઘરે પહોંચી ગયા હતા ત્યારે જટાશંકરભાઈ વૃદ્ધાવસ્થાના લીધે અડધો કલાક પાછળથી ઘરે પહોંચ્યા હતા. પરંતુ જયાબેન ઘરે ન દેખાતા તેમણે આડોશી-પાડોશી તથા તેમના ભત્રીજાને સાથે રાખી અને તેણીની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં સામે રહેલા એક અવાવરુ અને બંધ મકાનમાં લોહીલુહાણ હાલતમાં જયાબેનનો મૃતદેહ સાંપડ્યો હતો.
આથી આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસને જાણ કરાતાં પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી, મૃતકના ભત્રીજા કિશન દિલીપભાઈ ભોગાયતની ફરિયાદ પરથી વિવિઘ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવ બનતા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, ડી.વાય.એસ.પી. સમીર સારડા, એલ.સી.બી. પી.આઈ.જે.એમ.ચાવડા તથા એસ. ઓ.જી. સહીતનો પોલિસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે ડોગ સ્કવોડ સહીત સમગ્ર સ્ટાફ દ્વારા સઘન કાર્યવાહી કરી, શકમંદોની આકરી પુછપરછ આદરી હતી.
અને અંતે ગણતરીની કલાકોમાં આ હત્યાકેસ પરથી પરદો ઉચ્કવામાં પોલીસને સફળતા મળી છે, આ હત્યા પ્રકરણમાં પોલીસે મૂળ આગ્રા (યુ.પી.) ના અને હાલ કલ્યાણપુરમાં રહેતા સોનુ બ્રિજેશસિંગ રાજપુત નામના 23 વર્ષીય પરપ્રાંતિય શખ્સ ઉપરાંત કલ્યાણપુરના રહીશ માંલો ઉર્ફે માઈકલ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ. 22) નામના બે શખ્સોની અટકાયત કરી લીધી હતી. પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા આરોપીઓએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો અને તમામ હકીકત પોલીસ સમક્ષ રજૂ કરી દીધી હતી.
આ વિગતમાં જણાવ્યા મુજબ જયાબેને યુપીના મૂળ રહીશ અને કલ્યાણપુરમાં રહી અને કલર કામ કરતાં સોનુ રાજપુતને રૂપિયા દસ હજાર હાથ ઉછીનાના આપ્યા હતા. પરંતુ સોનુ રાજપુત, ફિરોઝ આમદભાઈ બ્લોચ અને અજીત મહારાજ જયાબેનના ઘરની સામેના એક ખંઢેરમાં દારુ પી રહ્યા હોવાથી તેણીએ આ શખ્સોને ટપાર્યા હતા. આથી સમસમીને ચાલ્યા ગયેલા આ શખ્સોએ બદલો લેવાનું નક્કી કર્યું હતું. આ વચ્ચે આ સોનુ રાજપુત તથા ફિરોજ ઉર્ફે ટીનો આમદભાઈ બ્લોચ બાજુમાં રહેતા બિરબલભાઈના બંધ મકાનમાં ચોરી કરવા ઉતર્યા હતા. આ બન્નેને જયાબહેન જોઈ જતાં તેઓ નાસી છૂટયા હતા. પરંતુ જયાબેન સોનુને ઓળખી ગયા હતા અને – “ચોરીની ફરિયાદ થશે તો હું તમને પોલીસમાં પકડાવી દઈશ” – તેમ આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો.
આ સમગ્ર સર્જાયેલી પરિસ્થિતિમાં જે- તે સમયે નીકળી ગયેલા સોનુએ જયાબેનને ઉછીના લીધેલા રૂ. દસ હજાર પરત કરવા ન પડે તેમજ તેણીના ઘરમાં રહેલી રોકડ રકમ ચોરી કરવાના ઇરાદે તેની સાથે માલો ઉર્ફે માઇકલ રાઠોડને સાથે રાખી અને જયાબેનના ઘરમાં ઘૂસ્યા હતા પરંતુ જયાબેન રાશન લઈને આવી જતા તેઓ વચ્ચે રકઝક થઈ હતી અને સોનુએ જયાબેનનું ગળું પકડી પાસે પડેલો પથ્થર ઝીંકી દીધો હતો. આ પછી સોનુ તથા ઉર્ફે માઈકલ નજીકમાં આવેલા અવાવરું ખંઢેરમાં તેણીને લઈ જઈ, અને પથ્થરના ઘા ફટકારી, ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી અને નાસી ગયા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ કલરકામ કરતો પરપ્રાંતીય શખ્સ સોનુ તથા અગાઉ ચોરી સહીતના ગુનામાં સંડોવાયેલા માલો ઉર્ફે માયકલ, ફિરોજ તથા અજીત દારૂ પીવા સહીતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.