Mysamachar.in: જામનગર
ક્યારેક મોટા ઉપાડે સરકાર દ્વારા વિવિધ જાહેરાતો કરી દેવામાં આવતી હોય છે, પણ બાદમાં તે જાહેરાતોની અમલવારીમાં સરકાર કોઈપણ કારણોસર ટૂંકી પડે છે અને તે થયેલ જાહેરાતો માત્ર જાહેરાતો બનીને જ રહી જાય છે, વાસ્તવિકતામાં કાઈ થતું જ નથી, આવું જ જામનગર જીલ્લા માટે થયું છે, જામનગર જિલ્લામાં જોડિયા તાલુકામાં દરિયાનુ ખારુ પાણી મીઠુ બનાવવા ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ કરવા રાજ્ય સરકારે થોડા વર્ષો પૂર્વે મોટા ઉપાડે જાહેરાત કરી હતી. મોરબી, રાજકોટ અને જામનગરની જનતાને પીવાનુ શુદ્ધ પાણી આપવાનું સરકારે વચન આપ્યુ હતું. જોકે, રાજ્ય સરકારે મોટાઉપાડે કરેલી જાહેરાતને ત્રણ વર્ષ જેટલો સમય વિત્યો છે હજુ કોઇ ઠેકાણાં નથી.અને આ પ્રોજેક્ટ માટે થયેલ કરાર રદ થયો હોવાની માહિતી વિધાનસભા સત્રમાં ખંભાળિયાના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમને પાણીપુરવઠા મંત્રીએ આપી છે.
આ પ્રોજેક્ટ કઈક એવો હતો કે દરિયાના ખારા પાણીને મીઠું બનાવી પીવાલાયક બનાવવા માટેના રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતમાં જામનગર જિલ્લાના જોડીયા ખાતે સ્થપાશે. આ માટે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં રોજ 10 કરોડ લીટર દરિયાના પાણીને મીઠું બનાવશે. મીઠા બનાવેલા પાણીને રાજકોટ, જામનગર શહેર સહિત જિલ્લાના ગામો તથા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને આપવામાં આવશે. આગામી 30 મહિનાના ગાળામાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થશે અને વર્ષ 2021-22થી પ્લાન્ટ કાર્યાન્વિત બની દૈનિક 10 કરોડ લીટર પાણી આપતો થઇ જશે.
પરંતુ તાજેતરમાં જ વિધાનસભાના સત્રમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા મત વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમે પ્રશ્ન પૂછ્યો હતો જોડીયા તાલુકામાં દરિયાનું પાણી મીઠું બનાવવા માટેનો પ્રોજેકટ તા. 31/7/2021ની સ્થિતિએ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આ બાબત માટેનો પ્રોજેકટ કઈ કંપનીને કયારે આપવામાં આવેલ છે ? આ કંપનીને પ્રોજેકટનું કામ કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે ? અને ઉકત પ્રોજેકટ કયા સુધીમાં કાર્યરત થશે ?
વિક્રમ માડમના પ્રશ્નોના જવાબમાં ગુજરાત સરકારના પાણીપુરવઠા મંત્રીએ તેમના જવાબમાં જણાવવામાં આવેલ હતું કે મે. એસ્સેલ ઈન્ફ્રા પ્રોજેકટ લિમીટેડ મુંબઈ અને અબેન્સા ઈન્ફ્રાસ્ટ્રકચર મેડીઓ અર્બન્ટી જોઈન્ટ વેન્ચર દ્વારા સ્થાપિત, મે. જોડીયા વોટર ડીસેલીનેશન લિમીટેડ કંપનીને 17/11/2018 ના રોજ આપવામાં આવેલ હતો. તે કરાર રદ કરવામાં આવેલ હોય પ્રોજેકટ પૂર્ણ કરવાનું લાગુ પડતું નથી. કરાર રદ કરેલ હોવાથી પ્રોજેકટ કયાં સુધીમાં કાર્યરત થશે તે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તે મુજબ જવાબ પાણીપુરવઠા મંત્રીએ વિધાનસભામાં આપતા આ પ્રોજેક્ટનો ફિયાસ્કો થઇ ચુક્યો હોય તેમ લાગે છે.