Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પોલીસ વડાએ તાજેતરમાં સમગ્ર જિલ્લાના 329 પોલીસ કર્મચારીઓની બદલીઓ માટેના હુકમો કર્યા પછી પણ મોટાભાગના કર્મીઓને સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા ફરજના સ્થળેથી, હુકમના અનુસંધાને છૂટાં કરવામાં આવ્યા ન હતાં. સંબંધિત પોલીસ સ્ટેશન અધિકારીઓની આ પ્રકારની કાર્યપદ્ધતિથી નારાજ થઈને સમસમી ઉઠેલા એસપીએ તુરંત નવો આદેશ સંબંધિત પોલીસ સ્ટેશનોને મોકલાવ્યો કે, હુકમ અનુસાર બદલી પામેલાં પોલીસકર્મીઓને તાકીદે છૂટાં કરી તે અંગે શીટ શાખામાં સોમવાર સુધીમાં જાણ કરી દેવી.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આ તાકીદ કર્યા પછી, આજે બુધવારે વર્તુળોએ જણાવ્યું છે કે, સંબંધિત પોલીસ સ્ટેશનો દ્વારા આ જાણકારી હજુ સુધી શીટ શાખાને પહોંચાડવામાં આવી નથી. આ પ્રકારની કેટલીક વિગતો હાલ ટપાલમાં હોવાનું પણ જાણવા મળે છે. ટૂંકમાં, બદલીઓના હુકમો પછી પણ તેની અમલવારીમાં સરકારી વિલંબ સર્જાયાની સ્થિતિ જોવા મળી રહી છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, બદલી પામેલાં કર્મચારીઓને બાળકોનાં શિક્ષણ સહિતના અથવા સાઈડ બિઝનેસ જેવાં પરિબળો છૂટાં થવામાં નડતા પણ હોય શકે છે.
આ પ્રકારની સ્થિતિ માત્ર પોલીસ કર્મચારીઓ પૂરતી જ મર્યાદિત નથી હોતી. ગૃહવિભાગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા પોલીસ ઇન્સ્પેકટર સહિતનાં અધિકારીઓની બદલીઓ માટે હુકમો કર્યા પછી ઘણાં એસપી તથા પોલીસ કમિશ્નરો પોતાનાં તાબાના અધિકારીઓને ઝડપથી રિલિવ કરવા ઇચ્છતા હોતાં નથી. બદલીઓ, ખાસ કરીને પોલીસ વિભાગમાં એક મોટો અને જટિલ વિષય હોવાનું જાણકારોનું માનવું છે.