Mysamachar.in-જામનગર:
જામનગરની મહાકાય કંપનીમાથી કોલસો ભરીને પોરબંદર ફેકટરીએ જવા માટે નીકળેલી ટ્રક ભારે વિલંબથી ત્યાં પહોંચી અને વિલંબનુ કારણ શોધતાં 19 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો. જામનગરમાં રહેતાં એક ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરે આ ભેળસેળ કૌભાંડ અને ઠગાઈ મામલે ત્રણ ટ્રક ડ્રાઈવર વિરૂદ્ધ પોરબંદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં પહોંચેલા આ કૌભાંડની વિગતો એવી છે કે, જામનગરમાં સત્યમ કોલોનીમાં રહેતાં ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર જીવાભાઈ જગાભાઈ પોપણિયા છેલ્લાં દોઢેક વર્ષથી, રિલાયન્સ કંપનીમાંથી કોલસાનું વહન પોતાનાં ટ્રાન્સપોર્ટ મારફતે પોરબંદર નિરમા ફેક્ટરીમાં કરે છે. તેઓ આ વ્યવસાય કમિશનથી કરે છે. પેટકોકની આ ડિલેવરી દરમ્યાન તાજેતરમાં એક ટ્રક જામનગરથી નીકળી છેક વિલંબથી પોરબંદર પહોંચ્યો !
તે દરમિયાન ગત્ 16મીએ નિરમા કંપનીએ આ કોન્ટ્રાકટરને ફોન મારફતે જણાવ્યું કે, અમારી લેબોરેટરીનાં રિપોર્ટ મુજબ, તમે મોકલાવેલ પેટકોક ભેળસેળયુક્ત છે. બાદમાં આ પ્રકરણમાં ત્રણ ટ્રકચાલક બિજલ રામભાઈ હારણ, હરપાલસિંહ એસ. રાઠોડ તથા રઘુવીરસિંહ રામદેવસિંહ ગોહિલ વિરુદ્ધ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરે પોરબંદરનાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ત્રણ ટ્રક વિલંબથી પોરબંદર પહોંચી હતી અને રસ્તામાં પેટકોકમા ભેળસેળ થઈ હોવાની શંકાને આધારે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલામાં ફરિયાદી સાથે રૂ. 19 લાખની ઠગાઇ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રસ્તામાં આ આરોપીઓએ સારી કવોલિટીનો કોલસો ટ્રકમાંથી કાઢી લીધો અને નબળી કવોલિટીનો કોલસો કંપનીમાં પહોંચાડ્યો હોવાની શંકાને આધારે આ ફરિયાદ થઇ છે. કેમ કે, આ ત્રણ ટ્રક જામનગરથી નીકળ્યા પછી ખૂબ વિલંબથી પોરબંદર પહોંચ્યા હતા.