My Samachar.in : જામનગર
જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા વારંવાર ચર્ચામાં આવતી રહે છે, અને તેવામાં ગત સ્ટે.કમિટીમાં 11 કરોડ જેટલો વધારાનો ખર્ચ પણ ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી કંપનીઓને અધિકારીઓએ “માં માગ્યા વગર પીરસે” તેમ આપી દીધો છે તે મુદ્દો હાલ ભારે ચર્ચામાં રહ્યો છે, અને my samachar સતત તેના એક બાદ એક મુદાઓ બહાર લાવી રહ્યું છે.ત્યારે આજે જામનગર મનપાની સામાન્યસભા ટાઉનહોલ ખાતે મળી હતી તેમાં પણ સોલીડ વેસ્ટ વિભાગ અને શહેરમાં આટલા કરોડોના ખર્ચ બાદ કેવી સ્થિતિ છે તેના પર વિપક્ષ નેતા સહિતના સભ્યોએ તડાપીટ બોલાવી હતી.
સોલીડ વેસ્ટ વિભાગને લગત ચર્ચા વખતે વિપક્ષ નેતા આનંદ રાઠોડે કહ્યું કે તાજેતરમાં જ સ્ટે.કમિટીએ ચેર પરથી 11 કરોડ ડોર ટુ ડોર માટે વધારાના ફાળવામાં આવ્યા, છતાયે આજે પણ એકેય જગ્યા એવી નથી જ્યાં કચરા ના હોય એવામાં ડોર ટુ ડોર પણ કંપની અને કર્મચારીઓના આંતરિક પ્રશ્નને કારણે આ કામગીરી ત્રણ દિવસથી બંધ થઇ ચુકી છે, રાઠોડે વધુમાં કહ્યું કે મનપા સૌથી વધુ ખર્ચ જ સોલીડ વેસ્ટ વિભાગને લગત કામો માટે કરે છે ત્યારે આ વિભાગમાં ક્યાં ભ્રષ્ટાચાર છે તેના પર નજર રાખવા કરી પણ વિપક્ષ નેતાએ તાકીદ કરી હતી. તો સોલીડ વેસ્ટના મામલે જ મહિલા લડાયક કોર્પોરેટર જેનબ ખફીએ પણ ડોર ટુ ડોર સફાઈ કામ ત્રણ દિવસ બંધ છે, તેના માટે મનપાને ભલે સીધું લાગતું વળગતું ના હોય પરંતુ મનપાએ ખાનગી એજન્સી પાવર લાઈન ને કોન્ટ્રાકટ આપ્યો છે તેની જવાબદારી છે કે કર્મચારીઓ હડતાલ કરે તો વૈકલ્પિક શું કરવું જોઈએ, કર્મચારીઓ અને એજન્સી વચ્ચેની લડાઈમાં શહેરમાં આટલા દિવસો ડોર ટુ ડોર કચરો એકત્ર ના થાય તે કેમ ચાલે તેવો વેધક સવાલ જેનબ ખફીએ ઉઠાવ્યો હતો.