Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવતા પોલીસે તપાસ શરુ કરી હતી જોકે આ ઘટના આત્મહત્યા નહી, પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ ચોંકી ઉઠી હતી. અને ઘટનામાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હોવાનું ખુલવા પામ્યું છે, ધ્રોલ તાલુકાના ડાંગરા ગામના વાડી વિસ્તારમાં રહેતા કેરૂભાઈ ભંગડાભાઈ ડાવર મૂળ અલીરાજપુર મધ્યપ્રદેશ પત્ની જમકુબેન સાથે મનસુખભાઈ ભંડેરીની વાડીએ ખેતમજૂરી કામ કરતા હતા. મંગળવારના રાત્રિના જમકુબેને ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાહેરાત તેના પતિ કેરૂભાઈએ પોલીસમાં પોલીસે સ્થળ પર જઈ અને લાશની તપાસણી કરતા તેમને શંકા લાગતા તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી જ્યાં તેની હત્યા થઈ હોવાનું ખૂલતા પતિ પર શંકા જતાં તેની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત આપી હતી.
આરોપી પતિએ એક વર્ષ પહેલા તેણે અને તેની પત્ની જમકુબેને ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા અને જામનગર ખેતમજૂરી કરવા પત્ની સાથે આવી ગયો, પરંતુ પૈસા માટે સાસરિયાઓ તરફ્થી સતત ફોન આવતા, વધારે દબાણ આવતા તેણે કંટાળીને તેની પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.પોલીસ કેરૂભાઈના નિવેદનથી ચોંકી ઉઠી હતી તો ઘટનામાં મૃતક જમકુબેનના ભાઇએ કેરૂભાઈ વિરૂદ્ધ તેની બહેનની હત્યા કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનામાં પોસ્ટમોર્ટમ દરમિયાન તેને ગળે ટૂંપો આપીને મારી નાખી હોવાનો ઘટસ્ફોટ થતાં ખોટું બોલી રહેલા પતિ પર પોલીસને તુરંત શંકા ગઈ અને ગુનાનો ભેદ તુરંત ઉકેલાઈ ગયો.પ્રેમલગ્ન કરનાર કેરૂએ એક લાખ રૂપિયા તો સસરા પક્ષને આપી દીધો હોવાનું પોલીસને જણાવ્યું હતું જે બાદ સસરા પક્ષ તરફથી બીજા પૈસા માટે સતત દબાણ થતું હતું. છેલ્લે તો એવો ફોન આવ્યો હતો કે, અમે જમકુને બીજે પરણાવી દઈશું જે પછી કેરૂએ તેની પત્ની તેની નહીં તો કોઈની નહીં તેમ મનમાં ગાંઠ વાળી તેની હત્યા કરી નાખી હતી.આમ એક વર્ષ જેટલા ટૂંકા લગ્નજીવન બાદ પતિ જ પત્નીનો વેરી બન્યો અને પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે.