Mysamachar.in-ગુજરાત:
રાજ્યની મહાનગરપાલિકાઓએ અને સતામંડળોએ આવાસ યોજનાના મકાન ખડક્યા જ રાખ્યા બાદ થયુ એવુ કે આવાસ ખાલી રહે છે, બબે વાર ડ્રો થાય છે હવે તો બિલ્ડરની જેમ તરત જ પૈસા આપો એટલે કબજો આપે છે તેવી હાલત થઇ છે તંત્રમા આવુ થવાનુ કારણ એક તો લોકોની સસ્તા મકાન લેવાની ખરીદ શક્તિ નથી ઘણાને લોન મળી નથી ઘણા તો આવાસ મેળવેલના ખરાબ અનુભવ અને વારંવાર ઉઠતી સમસ્યા જાણી આગળ આવતા નથી અને આવાસ પડ્યા રહ્યા છે,
કોવિડ-19 કોરોનાના સંક્રમણને કારણે શહેરી વિસ્તારોમાં ગરીબ પરિવારનું મોટાપાયે સ્થળાંતર થયું છે. ઝુંપડપટ્ટી કે અનઅધિકૃત વસાહતોમાં રહેતા ગરીબ લોકોને તેમના કાર્યસ્થળ નજીક આવાસની અછત હોવાથી રાજ્ય સરકારે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ નામની સ્કીમની જાહેરાત કરી છે, અને તેનો મુસદો તૈયાર થઇ ગયો છે,
તાજેતરમાં રાજ્યના તમામ મહાનગર પાલિકાઓના કમિશનર્સ, નગર પાલિકાઓના ચીફ ઓફિસર્સની સરકારમાં ખાસ બેઠક યોજાઇ હતી જેમાં આ સ્કીમ લાગૂ કરવા અંતર્ગત માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ સ્કીમ અંતર્ગત જેમને ઘરનું ઘર ન હોય તેવા ગરીબોને સરકાર હવે નજીવા ભાડે મકાન આપશે આ સ્કિમમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, વિકાસ સત્તા મંડળ, નોટિફાઇડ આયોજન કરેલા વિસ્તારો અને ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ નીચે આવતા વિસ્તારોને આવરી લેવાશે. જે મુજબ બે મોડેલ જાહેર કરાયા છે,
જે માટે કામદારો, શહેરી ગરીબ, બજાર કે વેપાર સંગઠન સાથે સંકળાયેલા ગરીબો, વિદ્યાર્થીઓ, ઉત્પાદન એકમોના મજૂરો, લાંબાગાળાના પ્રવાસીઓ તથા મુલાકાતીઓ, શૈક્ષણિક અથવા આરોગ્ય સંસ્થા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ઔદ્યોગિક કામદારો આ સ્કિમનો લાભ લઈ શકશે ઉપરાંત બીજા મોડેલ પ્રમાણે ખાનગી કંપની કે એજન્સી 60 ચો.મી. સુધીના કાર્પેટ વિસ્તાર ધરાવતા આવાસોનું નિર્માણ કરી શકશે.
જે સરકાર સાથે કરાર કરીને જરૂરિયાત મંદોને 25 વર્ષ સુધી ભાડા પટ્ટા પર આપી શકશે આ સ્કિમ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યભરમાં લાગુ પડાશે તેમ જાણવા મળ્યુ છે વધુમાં પહેલા મોડેલ મુજબ કેન્દ્રીય પુરસ્કૃત આવાસ યોજના અને રાજ્ય સરકારની આવાસ યોજનામાં જે મકાનોની ફાળવણી ન થઈ હોય તેવા મકાનો 25 વર્ષ માટે ભાડા પટ્ટા પર અપાશે. જો કે આ સ્ક્રીમ જામનગર માટે હાલ પુરતી એટલા માટે લાગુ નહિ પડે કારણ કે જામનગરમાં બનાવેલ આવાસો ખાલી નથી તેમ અધિકારી અશોક જોશીએ જણાવ્યું હતું,
જે કોઈ ખાનગી કંપની કે સંસ્થા ભાડાનુ સંચાલન કરશે તેને નફા પર કલમ-80 હેઠળ ઇન્કમટેક્સમાં છૂટ, નફા પર જીએસટીમાંથી મુક્તિ, તેમને ઓછા વ્યાજ દરે ફાઇનાન્સ લોન મળશે. આ માટેની મંજૂરી સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા 30 દિવસની અંદર મળશે. તેમજ પ્રોજેક્ટ સાઈટ સુધી રોડ, સફાઈ, પાણી અને ગટર તંત્ર દ્વારા વિના ખર્ચે ઉપલબ્ધ કરાશે અને આ યોજનામાં સમાવિષ્ટ આવાસમાં પાણી, ગટર, સ્વચ્છતા, પાકા રોડ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, કોમ્યુનિટી સેન્ટર, કરિયાણા, દવા, દૂધની દુકાનો અને એટીએમ પણ આ કોમ્પલેક્સમાં હશે.
આ ઉપરાંત મકાનોની સાઇઝમાં ડોર મેટરી 10 ચો. મીટર, સીંગલ બેડ રૂમ 30 ચો. મીટર અને ડબલ બેડ રૂમ 60 ચો.મીટર સુધીના હશે ખુબીની વાત એ છે કે આવાસ વેચાય નહી તો ય ખડકવા જ છે એ બંધ નથી કરવા પ્રજાના નાણા વાપરીને રૂપકડી સુવિધા લીફ્ટ પુરતુ પાણી સીક્યુરીટી સારી ગટર મજબુત બાંધકામ ગાર્ડન માર્કેટ વગેરે બ્રોશરમા બતાવી સ્પેશીફીકેશન મુજબ સુવિધા નક્કર ન હોય તેવી આવાસોની ફરિયાદ ચાલુ જ રહેતા લોકોનો ઉત્સાહ ઓસર્યો છે બીજી તરફ મંદી પણ છે અન્ય કારણો છે માટે ખાલી આવાસ ભાડે દેવા પણ તંત્રએ તૈયાર થવુ પડ્યુ છે ખરેખર આ કોઇ ભાડાની સુવિધા નથી તંત્રની મજબુરી છે એવી ચર્ચાઓ સાંભળવા મળે છે.