Mysamachar.in-પાટણ
થોડા દિવસો પૂર્વે જ કચ્છના રાપરના ગેડી ગામે સતના પારખા કરવા છ લોકોના હાથ ઉકળતા તેલમાં નાખવાની ઘટના નજરસમક્ષની છે ત્યાં જ રાજ્યમાં આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, આ કિસ્સામાં પાટણના સાંતલપુરમાં એક મહિલાએ 11 વર્ષની બાળકીને સત્યના પારખા કરાવાયા છે. મહિલા દ્વારા 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવી સત્યતના પારખા કરાવ્યા છે. તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારે આ ઘટનાને વખોડતા કહ્યું કે, આવા પ્રકારના ગુનાહિત કૃત્યો આ સરકાર નહિ ચલાવે.
મહિલા દ્વારા વાતની ખરાઈ કરવા બાળકીને ઉકળતા તેલમાં હાથ નખાવડાવ્યા હતા. બાળકી બૂમાબૂમ કરતી રહી, પરંતુ માનવતા ભૂલેલી મહિલાએ તેના પર અમાનુષી અત્યાચાર કરવાનું ચાલુ કર્યું. હાથના ભાગે દાઝેલ બાળકીને સાંતલપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ઘટનાને લઈ બાળકીના પિતા દ્વારા મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આરોપી મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી છે.
પાટણના સાંતલપુરમાં લવજીભાઈ કોળીની 11 વર્ષની દીકરી સંગીતા ઘરે એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતી લખીબેન મકવાણા નામની મહિલા ઘરે આવી હતી, તેણે બાળકીને કહ્યું હતું કે, ‘આજથી દસેક દિવસ પહેલાં તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જોઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?’ આ મામલે બાળકીએ ના પાડી હતી. પરંતુ લખીબેન માની ન હતી. તે બાળકીને પોતાના ઘરમાં લઈ ગઈ હતી અને સત્યના પારખા કરાવવા માટે તેનો હાથ ગરમ તેલમાં નંખાવડાવ્યો હતો. મહિલાએ બાળકીનો જમણો હાથ ગરમ તેલમાં નાંખ્યો હતો. બાળકીનો કાંડા સુધીનો આખો હાથ દાઝી ગયો હતો. ઘટના મામલે બાળકીના પિતાએ લખીબેન મકવાણા વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.