Mysamachar.in-જામનગર
કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે કેન્દ્રસરકારના દિશાનિર્દેશો પર રાજ્ય સરકાર દ્વારા વિવિધ તબક્કાઓનું લોકડાઉન મહિનાઓ સુધી યથાવત રાખવામાં આવ્યું જેને કારણે સામાન્ય લોકો અને પોતાના એકમાત્ર વ્યવસાય પર નિર્ભર લોકો માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ થઇ ગયો અને કેટલાયે તો લોકડાઉન સમય દરમિયાન પોતાની આર્થિક સ્થિતિ કથળી જતા આપઘાત કર્યા તો કેટલાય હજુ પણ ચિંતા વચ્ચે જીવી રહ્યા છે, એવામાં જામનગરમાં એક દુખદ ઘટના સામે આવી જેમાં લોકડાઉન બાદ ધંધો ચાલતો ના હોય આર્થિક ભીસ અનુભવી રહેલા એક કારખાનેદારે ઝેરી ટીકડા ખાઈ ને જિંદગી ટુકાવી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
સીટી સી ડીવીઝન પોલીસના ચોપડે જાહેર થયા મુજબ ગોકુલનગર નજીક કૈલાશનગરમાં વસવાટ કરતા દિલીપભાઈ કરશનભાઈ વાંસજાળિયા નામના 40 વર્ષીય વ્યક્તિ કારખાનું ચલાવે છે, પણ લોકડાઉનને કારણે અને તે બાદ ધંધો જોઈ તેવો ચાલતો ના હોય અને સતત આર્થિક ભીસ ભોગવી રહેલા દિલીપભાઈએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લઇ જિંદગી ટુકાવી દીધાનું જાહેર થયું છે,જેની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.