Mysamachar.in-જામનગર
શહેરમા હાલ કોરોનાનો રોગચાળો માજા મુકી રહ્યો છે ત્યારે કોરોના સામે વ્યવસ્થા અને સારવાર માટે એક તરફ રાજ્ય સરકારે ધારાસભ્યો મંત્રીઓની ગ્રાન્ટ પગાર વગેરે કાપ્યા છે તેવી જ રીતે જામનગર કોર્પોરેશન એ પણ નગરસેવકોની ગ્રાન્ટ પગારભથ્થું કાપી કોરોના માટે તે રકમ ફાળવી હોઇ સતાધારી પક્ષના જ નગરસેવિકાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી પુછ્યુ છે કે શુ સરકાર પાસે આપાતકાલીન ફંડ અનામત નથી?? આ અંગે જાણવા મળ્યા મુજબ જામનગરમાં કોર્પોરેટરની મંજુરી વિના તેની ગ્રાન્ટ અને પગાર કાપી રાહત ફંડમાં દેવાની પ્રક્રિયા બંધ કરવા અંગે કર્પોરેટે હુસેનાબેન અનવર સંધારે રજુઆત કરી છે, જામનગરમાં હાલમાં કોરોના મહામારીમાં અલગ અલગ હેડમાં ફાળો આપવામાં આવે છે, હાલમાં જી. જી. હોસ્પીટલ ખાતે કાર્યરત રોગી કલ્યાણ સમિતિમાં આપવા માટે કોર્પોરેશનના કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી રૂા.2,00,000/- કાપી આપવાનો ઠરાવ કરવામાં આવેલ છે.
આ પહેલાં રાહતકોષમા પણ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી રૂા.5,00,000/- કાપી આપવામાં આવેલ છે. આ ઉપરાંત એક માસનો પગાર પણ કપાત કરવામાં આવેલ છે. આવી રીતે જો કોર્પોરેટરની ગ્રાન્ટ કાપવામાં આવશે તો તેમના વિસ્તારના જરૂરી પાયાનાં કામ કઈ રીતે થશે ? શું સરકાર પોતે આપાતકાલીન ફંડમાંથી આવી નાણાની પૂર્તતા નથી કરી શકતી? આ તમામ કપાત જે તે કોર્પોરેટરની પૂર્વ મંજુરી વિના કરવામાં આવે છે. જેની સામે ઘણા કોર્પોરેટરોને વાંધો પણ છે, જે કોર્પોરેટરને અલગથી વધારાની આવક છે તે પોતાનો પગાર કપાવી શકે છે. પરંતુ જે કોર્પોરેટરી પોતાના પગારમાંથી પોતાના વિસ્તારના લોકોની ગામમાં નાની મોટી મદદ કરતા હોય અને અન્ય આર્થિક પહાય કરતા હોય ત્યારે તેમનો પગાર કપાય ત્યારે તેની વ્યવસ્થા બગડી જાય છે.
કોર્પોરેટર ની ગ્રાન્ટ કાપવાથી તેના વિસ્તારના જરૂરી કામો અટકી જાય છે જે વિસ્તારોમાં પહેલાથી તમામ વિકાસના કામો પૂર્ણ થયેલ છે તે વિસ્તારના કોર્પોરેટરની ગ્રાન્ટ કાપવામાં આવે તો તે વ્યાજબી છે. કારણ કે ત્યાં કોઈ વિકાસના કામ કરવાનો કોઈ અવકાશ નથી. જયારે વોર્ડ નં. 1 સ્લમ વિસ્તાર છે. અને ઘણા બધા વિકાસના કામો કરવાના બાકી છે. જેથી ગ્રાન્ટ કાપવાથી આ વિસ્તારનો વિકાસ અટકી ગયો છે તેમજ પગાર કાપવાથી ટેલીફોન, પેટ્રોલ, ઓફીસ અને અન્ય ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બને છે જેના લીધે આવનારા સમયમાં જો કોઈ કપાત કરવામાં આવે તો કોર્પોરેટરની મંજૂરી લેવામાં આવે તે ખુબ જરૂરી છે,તેમ વિસ્તૃત લેખીત રજુઆત કરી કોર્પોરેટર હુશેનાબેને ઉમેર્યુ છે કે ….
સરકાર દ્વારા અનેક રાહત અને પેકેજો જાહેર કરવામાં આવેલ છે તો પછી શું આ રાહતો ફક્ત કહેવા પુરતો જ હોય છે? માટે કોર્પોરેટરની ગ્રાન્ટ લઇ લેવી પડે છે?? શું સરકારને હવે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આકસ્મીક જરૂરીયાતને પુરી ક૨વાની ફરજ પડેલ છે? શું સરકાર પોતે આવી આકસ્મિક આપતકાલીન પરિસ્થિતિ માટે રિઝર્વ ફંડ રાખતી નથી? શું સરકારની જવાબદારી જનતા પ્રત્યે નથી ? શુ વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટ કાપીને કોરોના સામે લડવાનું છે ? આવા અનેક સવાલો લોકો પૂછે છે તેના જવાબ અમારી પાસે નથી તો શુ કરવુ?? તેમજ પ્રજાએ ચુંટેલા હોઇ ગ્રાન્ટ અને પગાર કપાત થાય છે તેની જાણ મતદારોને કરવી જરૂરી છે તેમજ હાલમાં થયેલ રૂા.2,00,000/- ની કપાત અંગે ઘણા કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં વાંધો લીધેલ છે અને આ અંગે મારો પણ વાંધો છે. કારણ કે અમોને મળતી ગ્રાન્ટ તમારા વિસ્તારના વિકાસ માટે છે અને તે અંગે તમારા વિસ્તારના પ્રતિનિધિ તરીકે થતી કપાત અંગે વાંધો લેવાનો હક્ક છે તેમ પણ આ નગરસેવિકાએ ઉમેર્યુ છે.