Mysamachar.in-અમદાવાદ
ઈન્ડિયન રેલવે ટેકરિંગ અને ટુરિઝમ કોર્પોરેશને ફરી એકવખત તેજસ એક્સપ્રેસ શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના લોકડાઉનને કારણે આ એક્સપ્રેસ પર બ્રેક લાગી હતી. એક લાંબો અલ્પવિરામ લીધા બાદ તેજસ એક્સપ્રેસ ફરી શરૂ થવા જઈ રહી છે. જેના કારણે મુંબઈ જતા પ્રવાસીઓને મોટી રાહત મળી રહેશે. જોકે, ટ્રેન મુસાફરી વખતે પણ કોવિડની ગાઈડલાઈન્સનું પાલન કરાશે.
ટ્રેન નં.82902/82301 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તા.7 ઓગસ્ટથી પરી પાટા પર દોડશે. આ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. અઠવાડિયામાં ચાર દિવસ આ ટ્રેન મુંબઈ સુધીની ટ્રીપ મારશે. રવિવાર, સોમવાર, શુક્રવાર અને શનિવારે આ ટ્રેન ઑપરેટ થશે. હાલ ડેઈલી રૂટ માટેની કોઈ શક્યતા નથી. પછી પ્રવાસીઓ વધતા ટ્રિપ વધારવા માટે નિર્ણય લેવાશે. સ્વાસ્થ્ય અને સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવશે. પ્રવાસી મુસાફરી શરૂ કરે એ પહેલા દરેક પ્રવાસીનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત એના સામાનને પણ સેનિટાઈઝ કરાશે. આ માટે ખાસ સ્ટાફ જે તે કોચ માટે ફાળવવામાં આવ્યો છે. દરેક પ્રવાસીના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોવી જોઈએ. જે રેલવે અધિકારીને દેખાડવાની રહેશે.
જ્યારે પણ પ્રવાસી આ માટે ટિકિટ બુક કરાવશે ત્યારે એમને ટ્રેનની તમામ વિગત મળી રહેશે. પેન્ટ્રી અને વોશબેસિન સહિત તમામ વસ્તુઓ સમયાંતરે સેનિટાઈઝ કરાશે. જ્યાં વારંવાર લોકોના હાથ અડતા હશે તે હેન્ડલથી લઈને બાહરના કાચ સુધી તમામ વસ્તુની સાફસફાઈ કરાશે. ક્વોલિટી સર્વિસની વાત આવે છે ત્યારે તેજસને સૌથી સારો પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદથી રવાના થયા બાદ ટ્રેન અંધેરી હોલ્ટ કરશે. એટલે જે પ્રવાસીઓને એરપોર્ટ જવાનું છે એમને પણ સરળતા મળી રહેશે.